આઠ બેઠકોની પેટા ચૂંટણીની જાહેરાતઃ આચારસંહિતા અમલમાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટેની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે રાજ્યમાં ત્રીજી નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે. ગુજરાતમાં ગઢડા (SC), કપરાડા (ST), લીંબડી, અબડાસા, ડાંગ (ST), મોરબી, ધારી અને કરજણ એ આઠ બેઠકો માટે મતદાન થશે. વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થતાની સાથે જ સાથે આઠ બેઠકોના મતવિસ્તારમાં આચારસંહિતાનો અમલની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યમાં પેટા ચૂંટણીનો કાર્યક્રમ નીચે મુજબ રહેશે

  • ત્રણ નવેમ્બરે મતદાન યોજાશે
  • 16 ઓક્ટોબર સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાશે
  • ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ 19 નવેમ્બર, 2020
  • 10 નવેમ્બરે મતગણતરી થશે.

રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી પહેલાં આઠ ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થવા રાજીનામાં આપ્યાં હતાં. જેના કારણે હાલ આ બેઠકો ખાલી પડી છે. અબડાસા-પ્રદ્યુમન જાડેજા, ડાંગ-મંગળ ગાવીત, કપરાડા-જિતુ ચૌધરી, કરજણ-અક્ષય પટેલ, ગઢડા-પ્રવીણ મારુ, ધારી-જે.વી. કાકડિયા, લીંબડી-સોમા પટેલ અને મોરબી-બ્રિજેશ મેરજાના રાજીનામાંથી ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે.
ભાજપ ચૂંટણી માટે પહેલેથી તૈયાર
આ પેટા ચૂંટણીની જાહેરાત બાદ ગુજરાત ભાજપ એકમના પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ભાજપ ચૂંટણી માટે પહેલેથી તૈયાર છે. ભાજપપ્રદેશ પ્રમુખ ચૂંટણીને આવકારી છે. ભાજપના કાર્યકર્તાઓ ચૂંટણી માટે તૈયાર છે.
કોંગ્રેસે આ ચૂંટણીઓ જીતવાના દાવા કર્યા
રાજ્યમાં યોજાનારી પેટા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસે આ ચૂંટણીઓ જીતવાના દાવા કર્યા હતા. છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ આગામી બે દિવસ રાજ્યમાં ખાલી પડેલી આઠ બેઠકો અંગે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા સાથે બેઠક યોજશે. આ ઉપરાંત આઠ બેઠક પરના નિરીક્ષકો સાથે પણ પ્રભારી રાજીવ સાતવ મીટિંગ કરશે.

જોકે ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ પણ તાજેતરમાં જ તમામ આઠ બેઠકો જીતવાનો દાવો કર્યો હતો.