હવે ભણશે ગુજરાત ટીવી ચેનલના માધ્યમથી

ગાંધીનગરઃ સમગ્ર વિશ્વમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે સાવચેતીના ભાગરૂપે ગુજરાતમાં સ્કુલ-કોલેજો 29 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જો કે, હજુ સુધી ગુજરાતમાં એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી.

રાજ્ય સરકારે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં એ હેતુસર એક નિર્ણય કર્યો છે. જે હેઠળ રાજ્યના વિદ્યાર્થીઓને પ્રાદેશિક ટીવી ચેનલ્સના માધ્યમથી અભ્યાસ કરાવવામાં આવશે. રાજ્યના ધોરણ 7થી 9 અને ધોરણ-11ના વિદ્યાર્થીઓને મહત્વના વિષયોનું રિવિઝન-પૂનરાવર્તન જે તે વિષય નિષ્ણાંત શિક્ષકોની મદદથી પ્રાદેશિક ચેનલ્સના માધ્યમથી કરાવવામાં આવશે.

19મી માર્ચથી વિદ્યાર્થીઓ ઘર બેઠા ટીવી ચેનલ્સના માધ્યમથી વિષયનો રિવિઝન અને અભ્યાસ કરી શકશે. 19 માર્ચથી દરરોજ એક-એક કલાકનું ઓનલાઇન શિક્ષણ ટી.વી ચેનલ્સ દ્વારા અપાશે. ધોરણ-7થી 9 માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષયોનું વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા શિક્ષણ અપાશે. ધોરણ-11માં ફિઝીકસ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, એકાઉન્ટન્સીના વિષયોનો અભ્યાસ વિષય નિષ્ણાત શિક્ષકો કરાવશે.