વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ રસોઇ કેમ બનાવી? જાણો…

અમદાવાદઃ સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ ફેલાતા રાજ્ય સરકારે લોકડાઉન જાહેર કર્યા બાદ પ્રજાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રોજબરોજનો રોટલો કમાતા ગરીબ પરિવારો માટે એક ટંકનું ભોજન પણ મળવું મુશ્કેલ બન્યું છે ત્યારે લોકોના મોં સુધી કોળિયો પહોંચાડવાનો એક સેવાયજ્ઞ અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી દ્વારા કરવામાં આવી રહ્યું છે.

પરેશભાઈ અને તેમની ટીમ દ્વારા અમરેલી, વડીયા, કુંકાવાવ તાલુકાના તમામ ગામોના હજારો ગરીબ, નિરાધાર અને જરૂરિયાતમંદ પરિવારોને દરરોજ બે ટાઈમ ભોજન પહોંચાડાઇ રહ્યું છે.અત્યાર સુધીમાં વિરોધ પક્ષના નેતા અને તેમની ટીમ દ્વારા આશરે સવા લાખ લોકોને શુદ્ધ અને સાત્વિક ભોજન પુરુ પાડવામાં આવ્યું છે.

ટનબંધ રસોઈ તૈયાર કરીને છેવાડાના ગામડાઓ સુધી હજારો ભૂખ્યા લોકો સુધી કોળિયો પહોંચાડવા માટે વિસ્તારના હજારો સ્વયંસેવકો સ્વેચ્છિક રીતે તનતોડ મહેનત કરી રહ્યા છે. આ ગરીબો માટેના રસોડામાં દરરોજ ટન બંધ રસોઈ તૈયાર કરવામાં આવે છે. પરેશભાઈ ધાનાણી તેમજ અહીં સેવા માટે આવતા દાતાઓ પણ ખુદ રસોડામાં તૈયાર થયેલી રસોઈ જમે છે.