રાષ્ટ્રપતિ ગાંધીનગર જિલ્લાના પ્રવાસે, ગ્રામભારતી ખાતે સંશોધકો સાથે કરશે સંવાદ

ગાંધીનગર- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે એક દિવસની ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ ગવર્નર ઓ.પી. કહોલીએ રામનાથ કોવિંદનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

ગાંધીનગર રાજભવનથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગ્રામભારતી ખાતે રાષ્ટ્રીય નવ પ્રવર્તન પ્રતિષ્ઠાન દ્વારા યોજાયેલ ત્રિદિવસીય પ્રદર્શન અને વર્કશોપને ખુલ્લો મુકશે.

મળતી માહિતી મુજબ મહામહિમ રામનાથ કોવિંદ ગ્રામભારતી સંસ્થામાં ઉપસ્થિત નવ સંશોધકોની સાથે સીધો સંવાદ કરશે એટલુ જ નહીં પ્રદર્શનની મુલાકાત લઈને તેમને પ્રોત્સાહિત કરશે.

આ પ્રદર્શનમાં ગ્રામક્ષેત્રના રોજીંદા જીવનની સમસ્યાઓ ઉકેલાઈ ગઈ હોય તેવા સંશોધનો પ્રદર્શિત કરવામાં આવશે. ઔપચારિક અને અનૌપચારિક ક્ષેત્ર વચ્ચે સેતુનુ કાર્ય કરતા આ પ્રદર્શનથી ગ્રામીણ સંશોધકોને પ્રોત્સાહન મળવાની સાથે તેમના સંશોધનનો વ્યાપક લાભ દેશને પણ મળશે.

રાષ્ટ્રપતિ અહીં બેથી ત્રણ કલાક જેટલો સમય વિતાવશે અને ત્યાર બાદ તેઓ દિલ્હી પરત જવા રવાના થશે.