રાજકોટ એરપોર્ટ ઓગસ્ટ સુધીમાં કાર્યરત થવાની શક્યતા

રાજકોટઃ શહેરમાં હિરાસર એરપોર્ટ અથવા રાજકોટ ગ્રીનફીલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ આ વર્ષના ઓગસ્ટમાં કાર્યરત થઈ જાય એવી વકી છે. વડા પ્રધાન મોદીના વિઝન હવાઇ ચંપલથી હવાઈ જહાજના દ્રષ્ટિકોણને બળ મળશે. આ એરપોર્ટ ઓદ્યૌગિક શહેર રાજકોટથી 30 કિલોમીટરના અંતરે છે. આ એરપોર્ટ 1032 હેક્ટર વિસ્તારમાં વિકસિત કરવામાં આવ્યું છે. રાજકોટના જિલ્લા મેજિસ્ટ્રેટ અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે એરપોર્ટનું  બાંધકામ કાર્ય પુરજોશમાં ચાલુ છે અને એ એરપોર્ટ આ વર્ષના ઓગસ્ટ કે સપ્ટેમ્બર સુધી ચાલુ થવાની અપેક્ષા છે.

આ એરપોર્ટ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થતા આંતરરાષ્ટ્રીય એરપોર્ટની કામગીરી હાલ પુરજોશમા આગળ વધારવામાં આવી રહી છે. આ એરપોર્ટના રન-વે પરનું કામ હાલ અંદાજે 62 ટકા જેટલું પૂર્ણ થઇ ચૂક્યું છે.

હાલ અહીં બાઉન્ડરી વોલનું કામ પણ ચાલી રહ્યું છે. અહી ટેમ્પરરી ટર્મિનલ ઉપરાંત રનવે, રડાર સિસ્ટમ અને લેન્ડ સ્કેપિંગની કામગીરી પણ ચાલી રહી છે. કલેક્ટરે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે ઓગસ્ટ-2022 સુધીમાં ફેઝ-1ની કામગીરી પૂર્ણ થઈ જશે.

આ ઉપરાંત એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના હિરાસર પ્રોજેકટના જી.એમ. લોકનાથ પાધેના જણાવ્યા મુજબ ફેઝ-1 અને ફેઝ-2ની કામગીરી ચાલી રહી છે. રાજ્ય સરકારના જુદા-જુદા વિભાગો અને કચેરીઓને ફાળે આવતી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા કલેક્ટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ સિવાય હાઇ-વે પર એરપોર્ટ પર જવા માટે સર્વિસ રોડ, એપ્રોચ રોડ અને ફલાઇઓવર બ્રિજની કામગીરી પણ ઝડપથી પૂરી કરવા માટે માર્ગદર્શન અપાયું હતું. આ એરપોર્ટની કામગીરીને હાલ શક્ય તેટલી ઝડપથી પૂરી કરવામા આવી રહી છે. જેમાં ટર્મિનલ બિલ્ડિંગનું કામ લગભગ બે ટકા જેટલું પૂર્ણ થયું છે. અંદાજે 18 મહિનાના સમયગાળામાં આ એરપોર્ટની તમામ કામગીરી પરિપૂર્ણ થઈ જવાની અટકળો લગાવવામા આવી રહી છે.