અષાઢી બીજે સવારે 7 વાગ્યે રથયાત્રા શરુ થશે. 1.5 કરોડનો વિમો..જાણો વધુ વિગત

અમદાવાદ-  શનિવારે ભગવાન જગન્નાથ મંદિરેથી શહેરમાં નગરચર્યાએ આવનારાં ભગવાન જગન્નાથજી, ભાઇ બળભદ્ર અને બહેન સુભદ્રાની રથયાત્રાની ધામધૂમપૂર્વક તૈયારીઓ થઇ રહી છે. જગન્નાથ મંદિરના સંચાલકો, શહેરીજનો અને પોલિસતંત્ર પણ તડામાર તૈયારીઓમાં વ્યસ્ત છે. ત્યારે રથયાત્રાને લઇને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથ મંદિરમાં પહિન્દવિધિ થનારી છે જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ હાજર રહેશે.

અષાઢી બીજને શનિવારે સવારે ચાર કલાકે મંગળા આરતી થશે. 4.30 કલાકે ખીચડીનો પ્રસાદ ધરાવામાં આવશે. ત્યારબાદ 5.45 કલાકે ભગવાનને નગરચર્ચા માટે રથમાં બેસાડવામાં આવશે. સાત વાગે રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવશે.

રથયાત્રામાં અપાતાં પ્રસાદમાં 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 400 કિલો કાકડીનો પ્રસાદ આપવામાં આવશે.

રથયાત્રામાં 2500 જેટલા સાધુસંતો ભાગ લેશે. આ ઉપરાંત 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજનમંડળી, 3 બેન્ડબાજા ભાગ લેશે.

રથયાત્રા દરમિયાન કોઇ અનઇચ્છનીય ઘટના ન બને અને મોટું કોઇ નુકસાન ન થાય તેની તકેદારીના ભાગરુપે પોલીસ કાફલો હાજર રહેનાર છે છતાં તકેદારીના ભાગરૂપે રથયાત્રાનો 1.5 કરોડનો વીમો લેવામાં આવ્યો છે.