સ્ટેચ્યૂ ઓફ યુનિટીઃ વારાણસીના વહાલાંને અમે દવલાં? ભારે હોબાળો

નર્મદાઃ પીએમ મોદીએ સરદાર જયંતિએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી સમારક નિહાળવા માટે આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જો કે કેટલીક અપૂરતી અવ્યવસ્થાને લઇને મુલાકાતીઓને માટે પહેલો દિવસ વિવાદી બની ગયો હતો. આજે સવારે શરૂઆતમાં ટિકિટ કે પાસની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે અને બાદમાં અમુક લોકોને ફ્રીમાં તો અમુકને પૈસા લઇને પ્રવેશ આપવામાં આવતાં ભારે હોબાળો મચી ગયો હતો.
મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાનના મતવિસ્તાર વારાણસીના મુસાફરો સ્ટેચ્યૂ ઓફ યુનિટી નિહાળવા આવ્યાં હતાં તેમને અંદર ન જવા દેવાતાં તેઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. હાલ કોઈ ટિકિટ-પાસની વ્યવસ્થા ન હોવાને કારણે પ્રવાસીઓને પ્રવેશનો િનકાર કરાયો હતો.જ હોબાળા બાદ મફતમાં તેમને અંદર જવા દેવાયાં હતાં.પ્રવાસીઓએ માંગ કરી હતી કે જ્યાં સુધી કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી સ્ટેચ્યૂના પરિસરમાં તમામને ફ્રીમાં પ્રવેશ આપવામાં આવે. આ અનુભવ બાદ જોકે તંત્ર દ્વારા ટિકિટની વ્યવસ્થા શરૂ  થઈ હતી.

બીજો વિવાદ એ સામે આવ્યો કે તંત્ર તરફ મુલાકાતીઓને પ્રવેશ મામલે વ્હાલાંદવલાંની નીતિ અપનાવવામાં આવી હતી. અમુક  સ્થાનિકોને રૂ. 350 ટિકિટ લઈને પ્રવેશ અપાયો હતો, જ્યારે વારાણસીથી આવેલા 1500 પ્રવાસીઓને અહીં મફતમાં પ્રવેશ અપાયો હતો. જેની જાણ થતાં સ્થાનિક પ્રવાસીઓએ પોતાના પૈસા પાછા માંગ્યા હતા. તંત્રએ ટિકિટના પૈસા પાછા આપવાનો ઇન્કાર કરતા ટિકિટબારી ખાતે ફરી હોબાળો મચી ગયો હતો.

વિવાદે આટલે અટકવાનું નામ ન લેતાં  વધુ એક મુદ્દો ઉછળ્યો હતો. સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું કામ પૂર્ણ થઈ જવાને કારણે સ્ટેચ્યૂનું કામ કરતી કંપનીએ 150થી વધારે સ્થાનિક લોકોને છૂટા કરી દીધા હતા. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે  સરકારે તેમને કાયમી નોકરી આપવાની બાંહેધરી આપી હતી. કંપનીમાંથી છૂટા કરવામાં આવેલા સ્થાનિકોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ગેટ પાસે હોબાળો મચાવ્યો હતો, જેને લઇને ફરી પોલિસ બોલાવવાની ફરજ પડી હતી.