મુંબઈમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણીમાં ગુજરાતી પ્રતિભાઓનું સન્માન

મુંબઈ: વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે શ્રી ગુજરાતી પરિવાર ફાઉન્ડેશન દ્વારા મુંબઈમાં કાંદિવલી પશ્ચિમના ઠઠ્ઠાઈ ભાટિયા હોલ ખાતે 23 ઓગસ્ટ, 2026ના રોજ સાંજે 5થી 9 વાગ્યા દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાતી સાહિત્ય, અનુવાદ, કલા, ભાષાપ્રસાર અને સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર પ્રતિભાઓનું સન્માન કરવામાં આવશે.

સમાજ પોતાના સાહિત્ય સર્જકો, અનુવાદકો, કલાકારો અને સામાજિક ક્ષેત્રે કાર્યરત પ્રતિભાઓને કેવી રીતે પોંખે છે તેના પરથી સમાજની સમજણ અને સંસ્કૃતિનો અંદાજ આવે છે. આ વિચાર સાથે ગુજરાતી ભાષા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમમાં ગુજરાતના સાંસદ પુરુષોત્તમ રૂપાલા, મહારાષ્ટ્રના સાંસ્કૃતિક મંત્રી આશિષ શેલાર, મુંબઈના મેયર રિતુ તાવડે તેમજ ધારાસભ્ય યોગેશ સાગર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

આ પ્રસંગે વરિષ્ઠ સર્જક દિનકર જોશી, લોકસાહિત્ય ગાયક ચેતન ગઢવી, નાટ્ય તથા સિરિયલ લેખક મિહિર ભૂતા, કલાકારો મીનળ પટેલ, લીલી પટેલ, અભિજીત ચિત્રે, અભય હરપળે અને આશિષ જાની સહિત અનેક પ્રતિભાઓનું સન્માન કરવામાં આવશે.

સાહિત્ય ક્ષેત્રે સંજય પંડ્યા, અશ્વિની બાપટ, કલ્પના દવે, પ્રતિમા પંડ્યા, વૈશાલી ત્રિવેદી, વર્જેશ સોલંકી, નીલાબેન સોની અને ડૉ. ગિરીશ ડાબકેનું સન્માન થશે. જ્યારે ભાષાપ્રસાર માટે કાર્યરત અનંતરાય મહેતા અને મીનાબેન મહેતા તેમજ સામાજિક ક્ષેત્રે યોગદાન આપનાર ડૉ. દિલીપ રાયચુરા, વિરલ ચીતલીયા, હિરેન ભૂતા, પિયુષ સુરા અને જીતેન્દ્ર કડકીયાને પણ સન્માનિત કરવામાં આવશે.

કાર્યક્રમનું સંચાલન જાણીતા વક્તા અશ્વિન મહેતા કરશે, જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન નેહા કેશવાની કરશે.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી ગુજરાતી પરિવાર ફાઉન્ડેશનના ચેરમેન મુકેશ કડકીયા દ્વારા કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા ઈચ્છુક દરેકને આ જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ગુજરાતી ભાષા અને સંસ્કૃતિની ઉજવણીમાં સહભાગી થવા આમંત્રણ છે.