ગુજરાતમાં લોકસભાની બેઠકો 39, વિધાનસભાની 273 થવાની સંભાવના

ગાંધીનગર: રાજ્યના રાજકીય નકશામાં 1975 બાદ ઐતિહાસિક ફેરફારો જોવા મળી શકે છે. દેશમાં આગામી સીમાંકન (ડિલિમિટેશન) અને નારી શક્તિ વંદન અધિનિયમ-2023(મહિલા અનામત)ના અમલીકરણની પ્રક્રિયા આગળ વધે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે.રાજ્યમાં હાલ લોકસભાની જે 26 બેઠકો છે તે સીમાંકન બાદ 39 કે 40 થઈ શકે. જ્યારે વિધાનસભાની 182 બેઠકો વધીને 273 થઈ શકે છે. સંભવિત સીમાંકનના કારણે અમદાવાદ, ગાંધીનગર અને સુરત શહેરની હાલ જે બેઠકો છે તેમાં પણ વધારો થવાની પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે. આ ઉપરાંત 10 બેઠકો એવી છે કે જેના મતદારોની સંખ્યાને જોતા તેના ભાગ પડી શકે છે. ગુજરાત લોકસભા-વિધાનસભા બેઠકોના આગામી સમયમાં થનારા સંભવિત સીમાંકનને લઈ હાલ રાજ્ય ચૂંટણી પંચ અને વિવિધ જિલ્લા કલેકટર કચેરીમાં ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે.

2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ગુજરાતમાં કુલ 4.99 કરોડથી વધુ નોંધાયેલા મતદારો હતા. રાજ્યની 26 લોકસભા બેઠકોમાં સરેરાશ 19 લાખ જેટલા મતદારો આવે છે, પરંતુ અનેક બેઠકોમાં આ સંખ્યા 20 લાખને પાર પહોંચી ગઈ છે. જેના કારણે આગામી પરિસીમનમાં મતવિસ્તારોનું પુનર્ગઠન લગભગ અનિવાર્ય માનવામાં આવી રહ્યું છે. જ્યારે સુરેન્દ્રનગર, પાટણ, ખેડા, સાબરકાંઠા અને બનાસકાંઠા જેવી બેઠકોમાં પણ 19થી 20 લાખ વચ્ચે મતદારો છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ભવિષ્યમાં એક લોકસભા બેઠક દીઠ 12થી 15 લાખ મતદારોનું માપદંડ અપનાવવામાં આવશે તો હાલની ઘણી બેઠકોને વિભાજિત કરવી પડશે.

અમદાવાદમાં હાલમાં પૂર્વ અને પશ્ચિમ એમ બે લોકસભા બેઠકો છે. બંનેમાં મળીને 37 લાખથી વધુ મતદારો હોવાથી અમદાવાદને ત્રીજી લોકસભા બેઠક મળવાની શક્યતા સૌથી વધુ છે. ગાંધીનગર બેઠકમાં પણ 21 લાખથી વધુ મતદારો હોવાથી કલોલ, દહેગામ અને ગાંધીનગર વિસ્તારને આધારે નવી બેઠકનું સર્જન થઈ શકે છે. સુરત, નવસારી અને વલસાડ વિસ્તારમાં છેલ્લા બે દાયકામાં થયેલી વસ્તી વૃદ્ધિને કારણે દક્ષિણ ગુજરાતમાં પણ એકથી બે નવી બેઠકો ઉમેરાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બનાસકાંઠા અને સાબરકાંઠામાં મળીને લગભગ 40 લાખ જેટલા મતદારો છે. જેના કારણે ઉત્તર ગુજરાતમાં નવી બેઠક ઊભી થઈ શકે છે. પંચમહાલ અને દાહોદ જેવા આદિવાસી વિસ્તારોમાં પણ પ્રતિનિધિત્વ વધારવા માટે નવી બેઠક રચાઈ શકે છે. રાજકોટમાં 21 લાખથી વધુ મતદારો હોવાથી શહેર અને ગ્રામ્ય વિસ્તારને અલગ કરીને નવી બેઠક બનાવવાની ચર્ચા ચાલી રહી છે. જ્યારે સુરેન્દ્રનગર, પાટણ, ખેડા, સાબરકાંઠા અને બનાસકાંઠા જેવી બેઠકોમાં પણ 19થી 20 લાખ વચ્ચે મતદારો છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ભવિષ્યમાં એક લોકસભા બેઠક દીઠ 12થી 15 લાખ મતદારોનું માપદંડ અપનાવવામાં આવશે તો હાલની ઘણી બેઠકોને વિભાજિત કરવી પડશે.

નવા પરિસીમન બાદ માત્ર બેઠકોની સંખ્યા તો વધશે, પરંતુ અનેક મતવિસ્તારોની સીમાઓ બદલાશે. કેટલીક જૂની બેઠકોનું અસ્તિત્વ સમાપ્ત થશે તો નવી બેઠકો ઉભી થશે. તેના કારણે દાયકાઓથી ચાલતા રાજકીય, સામાજિક અને જ્ઞાતિ આધારિત સમીકરણોમાં મોટો ફેરફાર આવશે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, આગામી પરિસીમન અને મહિલા અનામત કાયદાનો અમલ ગુજરાતના રાજકીય ઇતિહાસમાં 1975 પછીનો સૌથી મોટો વળાંક સાબિત થઈ શકે છે. જોકે બેઠકોની અંતિમ સંખ્યા અને નવા મતવિસ્તારો અંગેનો નિર્ણય વસ્તી ગણતરી, પરિસીમન આયોગની ભલામણો અને સંસદની મંજૂરી બાદ જ સ્પષ્ટ થશે.