દરિયાની વચ્ચે હંતા વાયરસનો આતંક

દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં સફર દરમિયાન જીવલેણ ‘હંતા વાયરસ’ના પ્રકોપનો સામનો કરનાર ડચ ધ્વજ ધરાવતું જહાજ ‘MV Hondius’ આખરે સ્પેન પહોંચી ગયું છે. આ જહાજમાં કુલ 150 લોકો સવાર હતા, જેમાં બે ભારતીય ક્રૂ સભ્યોનો પણ સમાવેશ થાય છે. વાયરસના સંક્રમણને જોતા સાવચેતીના ભાગરૂપે જહાજને સ્પેનના કેનેરી ટાપુઓથી થોડે દૂર દરિયામાં લંગર નાખીને રોકી દેવામાં આવ્યું હતું.

બે ભારતીયો સંપૂર્ણ સ્વસ્થ, નેધરલેન્ડ મોકલાયા

મેડ્રિડ સ્થિત ભારતીય દૂતાવાસે પુષ્ટિ કરી છે કે જહાજ પર સવાર બંને ભારતીય નાગરિકો સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમનામાં બીમારીના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. સ્પેનિશ નેશનલ સેન્ટર ફોર ઇમરજન્સી મોનિટરિંગ એન્ડ કોઓર્ડિનેશન (CENEM) ના પ્રોટોકોલ મુજબ, આ બંને ભારતીયોને હવે નેધરલેન્ડ મોકલી દેવામાં આવ્યા છે. ત્યાં તેમને આરોગ્ય સુરક્ષાના ભાગરૂપે ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવશે. ભારતીય રાજદૂત સતત આ નાગરિકો અને સ્પેનિશ સત્તાવાળાઓ સાથે સંપર્કમાં છે.

ત્રણ મુસાફરોના કરુણ મોતથી ખળભળાટ

MV Hondius પર મુસાફરી દરમિયાન એક ડચ દંપતી અને એક જર્મન મહિલા સહિત કુલ ત્રણ મુસાફરોના હંતા વાયરસને કારણે મોત થયા હતા. આ ઘટના બાદ વાયરસ વૈશ્વિક સ્તરે ન ફેલાય તે માટે જહાજ પરના તમામ 147 મુસાફરો અને ક્રૂ સભ્યોને કેપ વર્ડે પાસે કડક ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા હતા. હંતા વાયરસ એક દુર્લભ અને ઘાતક ચેપ માનવામાં આવે છે, જે સામાન્ય રીતે ઉંદરો દ્વારા ફેલાય છે.

WHO અને UNની બાજ નજર

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને સંયુક્ત રાષ્ટ્ર (UNO) ના અધિકારીઓ આ સમગ્ર ઘટના પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે. જોકે, આરોગ્ય નિષ્ણાતોએ જનતાને આશ્વાસન આપ્યું છે કે આ વાયરસના એક માણસથી બીજા માણસમાં ફેલાવાનું જોખમ ખૂબ જ ઓછું છે, તેથી તે કોઈ નવી મહામારીનું સ્વરૂપ લે તેવી શક્યતા નહિવત્ છે. હાલમાં તમામ મુસાફરોને WHO અને સ્પેનિશ અધિકારીઓ દ્વારા નક્કી કરાયેલા પ્રોટોકોલ મુજબ જહાજમાંથી ઉતારવામાં આવ્યા છે.