ગાંધીનગર: રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા પર મેળવેલા સફળ નિયંત્રણ તેમજ સીઝનલ ફ્લૂ (H1N1) સામેની આગોતરી સજ્જતાની સમીક્ષા કરવા માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી.
વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત આ બેઠકમાં સિવિલ હોસ્પિટલોના તબીબી અધિક્ષકો, મેડિકલ કોલેજોના ડિન તેમજ જિલ્લા અને મહાનગરપાલિકાઓના વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આરોગ્ય મંત્રીએ ચોમાસા દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવતાં જણાવ્યું હતું કે રાજ્યમાં H1N1 નો કોઈ ગંભીર ઉપદ્રવ નથી અને દર્દીઓની હાલત સામાન્ય છે, તેથી નાગરિકોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોમાંથી સતત આવનજાવન હોવાથી તકેદારીના ભાગરૂપે વર્ષ-૨૦૧૯ની H1N1 ગાઇડલાઇન મુજબ દર્દીઓના સેમ્પલિંગ, ટેસ્ટિંગ અને સારવારનું ચોક્કસ પાલન કરવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે.
મંત્રીએ રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં પર્યાપ્ત દવાઓ, ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધાઓ સજ્જ રાખવા નિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત, હોસ્પિટલોમાં આંતરિક પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા અને સ્વચ્છતા જાળવવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.




