રાજ્યમાં છેલ્લા 3 – 4 દિવસથી કાળજાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્ય આકરો તાપ પડી રહ્યો છે અને લૂ ફૂંકાઇ રહી છે. ત્યારે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હજી 3 દિવસ આ જ પ્રકારના વાતાવરણની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં સુરેન્દ્રનગર, સુરત, વડોદરા અને કચ્છમાં હીટવેવના પગલે ઓરેન્જ જ્યારે અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે 12 મેના રોજ કચ્છ, સુરેન્દ્રનગર અને સુરત જિલ્લામાં હીટવેવની વ્યાપક અસર થઇ શકે છે. જેના પગલે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ ચેતાવણી અપાઈ છે. જ્યારે વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, બોટાદ, અમરેલી, રાજકોટ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હીટેવવના કારણે યલો એલર્ટ જારી કરાયું છે. અન્ય જિલ્લાઓમાં હીટવેવની શક્યતા નહિવત છે.

13 મે 2026ના રોજ વડોદરા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં હીટવેવની અસર વચ્ચે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, રાજકોટ, બોટાદ જિલ્લામાં હીટવેવના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય અન્ય જિલ્લાઓમાં હીટવેવની શક્યતા નહિવત છે. 14 મેના રોજ પણ વડોદરા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં હીટવેવની વધુ અસરની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ ઉપરાંત પાટણ, અમદાવાદ, ગાંધીનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, રાજકોટ, બોટાદ જિલ્લામાં હીટવેવના કારણે યલો એલર્ટ જાહેર કરાયું છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓમાં હીટવેવની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ નથી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં અનેક શહેરોમાં ગરમીનો પારો 41થી 45 ડિગ્રીની વચ્ચે રહી શકે છે. જો કે, ત્યારબાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થતાં ઠંડીમાંથી આંશિક રાહત થઇ શકે છે.
આ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને આંદામાન-નિકોબાર ટાપુઓ પર દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગમન માટે સાનુકૂળ પરિસ્થિતિઓ બની છે. હવામાન વિભાગના ડેટા અનુસાર, હાલમાં પશ્ચિમ મધ્ય પ્રદેશ પર 1.5 કિ.મી. અને પશ્ચિમ રાજસ્થાન પર 0.9 કિ.મી.ની ઊંચાઈએ ચક્રવાતી પવનોનું પરિભ્રમણ સક્રિય છે, જ્યારે ઉત્તર પાકિસ્તાન પર 3.1 કિ.મી.ની ઊંચાઈએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિ યથાવત છે. આ પ્રદેશોમાં નીચલા સ્તરે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી આગામી દિવસોમાં હવામાનની ગતિવિધિઓમાં ફેરફાર થવાની સંભાવના છે.




