બાંગ્લાદેશમાં હિંદુ વ્યક્તિના ઘરને આગ લગાવાઈઃ યુનુસ સરકાર ઘોર નિદ્રામાં

ઢાકાઃ બાંગ્લાદેશમાં હિંદુઓ સામેની હિંસા અટકવાનું નામ લઈ રહી નથી. અહીં હિંદુઓને નિશાન બનાવી તેમની હત્યા કરવામાં આવી રહી છે અને તેમનાં ઘરો સળગાવવામાં આવી રહ્યાં છે, પરંતુ વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ ઘોર નિદ્રામાં છે. બાંગ્લાદેશમાં ફરી એક વાર હિંદુ પર હુમલો થયો છે. આ ઘટના સિલ્હેટ જિલ્લાના ગોયાઇનઘાટ વિસ્તારના નંદિરગાંવ યુનિયનના બહોર ગામની છે. અહીં ઇસ્લામિક કટ્ટરપંથીઓએ એક હિંદુ પરિવારના ઘરમાં હુમલો કર્યો છે. કટ્ટરપંથીઓએ બિરેન્દ્ર કુમાર દેના ઘરને આગ ચાંપી હતી.

જુઓ વિડિયો

બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓના આ કરતૂતનો વિડિયો પણ સામે આવ્યો છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે આગ લાગ્યા બાદ તે ઝડપથી ઘરમાં ફેલાઈ જાય છે. પરિવારના લોકો જીવ બચાવવા માટે ઘરની બહાર નીકળવાનો પ્રયાસ કરતા નજરે પડે છે. આગને કારણે ઘર સંપૂર્ણ રીતે ખાખ થયું હતું.

બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકોની સ્થિતિ શું છે

હ્યુમન રાઇટ્સ કોંગ્રેસ ફોર બાંગ્લાદેશ માઇનોરિટીઝ (HRCBM) સંસ્થાએ બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક સમુદાયો પર વધી રહેલી હિંસા પર સતત નજર રાખી છે. સંસ્થાએ છેલ્લા સાત મહિનામાં 100થી વધુ મોતનું દસ્તાવેજીકરણ કર્યું છે. HRCBMનો આરોપ છે કે આ હિંસા કોઈ છૂટક કે અલગ-અલગ ઘટનાઓ નથી, પરંતુ અલ્પસંખ્યકોને વ્યવસ્થિત રીતે નિશાન બનાવતી દેશવ્યાપી પેટર્ન છે.

રિપોર્ટ મુજબ, 6 જૂન 2025થી 5 જાન્યુઆરી 2026 વચ્ચે બાંગ્લાદેશના તમામ 8 ડિવિઝન અને ઓછામાં ઓછા 45 જિલ્લાઓમાં 116 અલ્પસંખ્યકોનાં મોત થયાં છે, તેમાં લિન્ચિંગ, હત્યા અને શંકાસ્પદ પરિસ્થિતિઓમાં થયેલા મોતનો સમાવેશ થાય છે। આ કોઈ સ્થાનિક કે સંયોગવશ થયેલી હિંસા નથી, પરંતુ આયોજનબદ્ધ રીતે કરવામાં આવેલી હિંસા છે, જેની પેટર્ન સમગ્ર દેશમાં જોવા મળે છે.