વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર સંસદમાં ચર્ચા માટે ગૃહપ્રધાન તૈયાર

નવી દિલ્હી: કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કહ્યું હતું કે સરકાર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને લઈને ચર્ચા કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે ગૃહ મંત્રી અમિત શાહ આ મામલે ગૃહમાં જવાબ આપશે. જોકેતેમણે સ્પષ્ટ કર્યું કે વિપક્ષે ગૃહ મંત્રીને સાંભળવા પડશે. ઉલ્લેખનીય છે કે સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષ રામ મંદિરના ચઢાવાની ચોરી અને જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જને મુદ્દે અમિત શાહ પાસેથી જવાબની માગ કરી રહ્યો છે.

રિજિજુ બોલ્યા, એક-એક મુદ્દાનો જવાબ આપવામાં આવશેતેમણે કહ્યું હતું કે દરેક મુદ્દાનો જવાબ આપવામાં આવશે. જોકે તેમણે અપીલ કરી કે જ્યારે અમિત શાહ બોલે ત્યારે તેમના જવાબ દરમિયાન વિપક્ષે હોબાળો ન કરવો જોઈએ. તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીને મુદ્દે સરકાર ચર્ચા માટે તૈયાર છે.

સરકારની પણ એક શરત

તેમણે કોંગ્રેસ અને વિપક્ષના સાથી પક્ષોને અપીલ કરતાં કહ્યું હતું કે જ્યારે સરકાર વિદ્યાર્થી આંદોલન અંગે ચર્ચા માટે તૈયાર છે, ત્યારે સરકારનો જવાબ પણ સંપૂર્ણપણે સાંભળવો જોઈએ. તેમણે કહ્યું હતું કે એવું ન થઈ શકે કે ચર્ચાની માગ કરવામાં આવે અને જ્યારે સરકાર જવાબ આપવા ઊભી થાય ત્યારે નારેબાજી શરૂ કરી દેવામાં આવે. તેમણે કહ્યું હતું કે સરકાર ચર્ચાથી પાછળ હટવાની નથી. સરકારે પોતાનું વલણ સ્પષ્ટપણે રજૂ કરી દીધું છે.

વિપક્ષ ચઢાવાની ચોરીને મુદ્દે પણ જવાબ માગે છે

સરકારે સંસદની બિઝનેસ એડવાઇઝરી કમિટી (BAC)ની બેઠકમાં જણાવ્યું છે કે તે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને મુદ્દે ચર્ચા માટે તૈયાર છે. જોકે વિપક્ષ રામ મંદિરના ચઢાવાની ચોરીને મુદ્દે પણ ચર્ચા ઈચ્છે છે. આજે રજૂ કરવામાં આવેલાં ચાર બિલ પર ચર્ચા માટે બે-બે કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. વિપક્ષ આમાંથી બે બિલને સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવાની માગ કરી રહ્યો છે. FCRA અને સીમાંકન બિલ અંગે આ બેઠકમાં કોઈ ચર્ચા થઈ નથી.