ગાયની કુરબાનીને લઈને હુમાયુ કબીરનું વિવાદાસ્પદ નિવેદન

કોલકાતાઃ બકરી ઈદ પહેલાં પશ્ચિમ બંગાળના રાજકારણમાં નવો વિવાદ ઊભો થયો છે. વાસ્તવમાં, આમ જનતા ઉન્નયન પાર્ટીના ચીફ અને ધારાસભ્ય હુમાયુ કબીરે  ગાયની કુર્બાની મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેને કારણે રાજકીય તાપમાન વધ્યું છે. તેમણે કહ્યું હતું કે કુર્બાની તો 1400 વર્ષ પહેલાંથી ચાલી આવી રહી છે અને દુનિયા રહેશે ત્યાં સુધી કુર્બાની ચાલતી રહેશે. તેમણે એવો પણ દાવો કર્યો કે કોઈ પણ કુર્બાનીને રોકી શકશે નહીં.

કુર્બાની તો થશે જ – હુમાયુ કબીર

હુમાયુ કબીરે પશ્ચિમ બંગાળ સરકાર પર ટિપ્પણી કરતાં કહ્યું કે તેઓ સવારે શું કહે છે અને બીજા દિવસે શું કહે છે, તેના પર હું કોઈ ટિપ્પણી નહીં કરું. તેઓ મુસ્લિમોને ગાયનું માંસ ખાવાથી રોકી રહ્યા છે, તેમની સરકાર છે એટલે તેઓ આવું કરી શકે છે, પરંતુ કુર્બાની તો થશે જ.

1400 વર્ષથી ચાલતી આવતી કુર્બાની નહીં અટકે

AJUPના ચીફે કહ્યું હતું કે કોઈ કુર્બાનીને રોકવાનો પ્રયાસ કરશે તો પણ લોકો તેને નહીં સાંભળે. સત્તામાં સુવેન્દુ અધિકારી આવ્યા છે, લોકોએ તેમને મત આપ્યા છે એટલે તેઓ સરકાર ચલાવશે, પરંતુ મારું કહેવું છે કે 1400 વર્ષ પહેલાંથી આ કુર્બાની ચાલી રહી છે. દુનિયા રહેશે ત્યાં સુધી આ કુર્બાની ચાલતી રહેશે.

ગાયને લઈને હુમાયુ કબીરનું વિવાદાસ્પદ નિવેદન

તેમણે આગળ કહ્યું હતું કે ગાયની પણ કુર્બાની થશે, બકરીની પણ થશે, ઊંટની પણ થશે, ઘેટાંની પણ થશે. કુર્બાની માટે જે પણ પશુ માન્ય છે, તેમની કુર્બાની થશે અને તેને કોઈ રોકી શકશે નહીં.

 

હુમાયુ કબીર કોણ છે?

હુમાયુ કબીર એ જ નેતા છે જેમણે ડિસેમ્બર, 2025માં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદને નામે નવી મસ્જિદ બનાવવાની જાહેરાત કરી હતી. જોકે આ જાહેરાત બાદ TMCએ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યાર બાદ હુમાયુ કબીરે પોતાની નવી રાજકીય પાર્ટી “આમ જનતા ઉન્નયન પાર્ટી” બનાવી અને પહેલી જ ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની બે બેઠકો પર જીત મેળવી હતી. હુમાયુ કબીરે પોતે રેજીનગર અને નૌડા બેઠકો પરથી ચૂંટણી લડી અને જીત નોંધાવી હતી.