તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં વિજયની પાર્ટી TVK 108 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી છે, પરંતુ બહુમતી માટે હજુ 11 બેઠકો ખૂટે છે. વિજયે રાજ્યપાલને પત્ર લખી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે અને બહુમતી સાબિત કરવા 15 દિવસનો સમય માંગ્યો છે. બીજી તરફ, વિજયના પિતા એસ.એ. ચંદ્રશેખરે કોંગ્રેસ સાથે ગઠબંધન માટે ખુલ્લી અપીલ કરી છે. હવે જોવાનું એ રહેશે કે વિજય અપક્ષો અથવા અન્ય નાના પક્ષોના ટેકાથી મુખ્યમંત્રીની ખુરશી સુધી કેવી રીતે પહોંચે છે.

તમિલનાડુની 234 બેઠકો ધરાવતી વિધાનસભામાં સત્તા સ્થાપવા માટે કોઈપણ પક્ષ કે ગઠબંધનને 118 બેઠકોની જરૂર હોય છે. વિજયની પાર્ટીએ 108 બેઠકો પર જીત મેળવી છે, પરંતુ ટેકનિકલ રીતે તેમની પાસે 107 બેઠકો જ ગણાશે કારણ કે વિજય પોતે બે બેઠકો (પેરમ્બુર અને ત્રિચી ઈસ્ટ) પરથી જીત્યા છે અને નિયમ મુજબ તેમણે એક બેઠક છોડવી પડશે. આ ઉપરાંત, એક ધારાસભ્ય સ્પીકર બનશે, જે સામાન્ય સંજોગોમાં મતદાન કરી શકતા નથી. આ ગણિત મુજબ, વિજયને સ્થિર સરકાર ચલાવવા માટે અન્ય 11 થી 12 ધારાસભ્યોના સમર્થનની તાતી જરૂરિયાત છે.
આ રાજકીય ગડમથલ વચ્ચે વિજયના પિતા અને જાણીતા ફિલ્મમેકર એસ.એ. ચંદ્રશેખરે કોંગ્રેસને સાથ આપવા માટે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ જેવી જૂની અને પરંપરાગત પાર્ટી સત્તા વિના નબળી પડી રહી છે, અને વિજય તેમને નવી તાકાત આપવા માટે તૈયાર છે. જો કોંગ્રેસ (5 બેઠકો) અને અન્ય નાના પક્ષો જેવા કે VCK, CPI, અને PMK (4 બેઠકો) માંથી સમર્થન મળે, તો વિજય સરળતાથી બહુમતીનો આંકડો પાર કરી શકે છે. ડીએમકે ગઠબંધનમાં ગાબડું પાડીને પોતાના પક્ષે ધારાસભ્યો લાવવા એ વિજય માટે મોટો પડકાર છે.
રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરને લખેલા પત્રમાં વિજયે 15 દિવસનો સમય માંગ્યો છે જેથી તેઓ જરૂરી સમર્થન એકઠું કરી શકે. રાજ્યપાલના નિર્ણય પર હવે બધો આધાર છે કે તેઓ સૌથી મોટા પક્ષ તરીકે TVK ને ક્યારે આમંત્રણ આપે છે. બીજી તરફ, પરિણામો બાદ રાજ્યમાં કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે વિજયના નિવાસસ્થાન નીલંકરઈ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતની જેમ તમિલનાડુમાં પણ આ વખતે એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે, પરંતુ તે સત્તાવાર બને તે પહેલા રાજકીય ખેંચતાણ ચરમસીમાએ પહોંચી છે.

