અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ વધારવા અંગે મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ આગામી 24 કલાકમાં ભારત પર ભારે ટેરિફ વધારવા જઈ રહ્યા છે. ટ્રમ્પે કહ્યું, ‘મને લાગે છે કે હું આગામી 24 કલાકમાં ભારતના ટેરિફમાં ભારે વધારો કરી રહ્યો છું. જાહેરાત પહેલા ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે ભારત મોટા પ્રમાણમાં રશિયન તેલ ખરીદી રહ્યું છે અને તેને વેચીને નફો પણ કમાઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે તેઓ રશિયા સાથેના વેપાર અંગે ભારત પર ટેરિફ વધારશે.

ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સત્ય પર એક સંદેશમાં કહ્યું હતું કે, ભારત માત્ર રશિયા પાસેથી મોટી માત્રામાં તેલ ખરીદી રહ્યું નથી, પરંતુ બજારમાં ખરીદેલા આ તેલનો મોટો ભાગ વેચીને પણ મોટો નફો કમાઈ રહ્યું છે. ભારતને કોઈ પરવા નથી કે રશિયાના યુદ્ધ મશીનરી દ્વારા યુક્રેનમાં કેટલા લોકો માર્યા જઈ રહ્યા છે. તેથી, હું ભારત પર ટેરિફ વધારવા જઈ રહ્યો છું.

ટ્રમ્પની ધમકી પર ભારતે શું કહ્યું?
ભારતે ટ્રમ્પની ધમકીને ‘ગેરવાજબી અને અતાર્કિક’ ગણાવી. વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને ટ્રમ્પની ટિપ્પણી અંગે અમેરિકાની ટીકા કરી. મંત્રાલયે કહ્યું કે એક તરફ અમેરિકા રશિયા સાથે વેપાર કરી રહ્યું છે, તો બીજી તરફ તે ભારત-રશિયા વેપાર પર આંગળી ચીંધી રહ્યું છે. ગયા વર્ષે, કડક પ્રતિબંધો અને ટેરિફ છતાં, અમેરિકાએ રશિયા સાથે લગભગ $3.5 બિલિયનનો વેપાર કર્યો હતો.
વિદેશ મંત્રાલયે અમેરિકાના આ બેવડા વલણ પર કહ્યું, અમેરિકા હજુ પણ તેના પરમાણુ ઉદ્યોગ માટે યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ, ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગ માટે પેલેડિયમ, ખાતરો અને રસાયણો રશિયા પાસેથી આયાત કરે છે. વિદેશ મંત્રાલયના નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ‘કોઈપણ મોટી અર્થવ્યવસ્થાની જેમ, ભારત તેના રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષાના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લેશે.’


