પાંચ વર્ષ સુધી ભારતના ગેસ સપ્લાય પર અસરઃકતાર એનર્જી

187

નવી દિલ્હીઃ કતાર એનર્જીના CEO અને ઊર્જા મામલાના રાજ્ય મંત્રી સાદ અલ-કાબીએ જણાવ્યું હતું કે ઈરાનના હુમલાઓને કારણે કતરની LNG એક્સપોર્ટ ક્ષમતાનો લગભગ 17 ટકા ભાગ નષ્ટ થયો છે, જેને કારણે દર વર્ષે અંદાજે 20 અબજ ડોલર જેટલું આવકનું નુકસાન થયું છે.

મરામત કામગીરીને કારણે આગામી ત્રણથી પાંચ વર્ષ સુધી દર વર્ષે લગભગ 12.8 મિલિયન ટન LNG ઉત્પાદન પ્રભાવિત રહેશે. તેની અસર ચીન, ભારત તેમ જ યુરોપ અને એશિયાના અનેક દેશોના ગેસ સપ્લાય પર પડી શકે છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઈરાન દ્વારા કરાયેલા હુમલાઓમાં કતારની 14 LNG ટ્રેનોમાંથી ઓછામાં ઓછા બે અને તેની બે ગેસ-ટુ-લિક્વિડ (GTL) સુવિધાઓમાંથી એકને નુકસાન થયું છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે કતાર અને આખો વિસ્તાર આવા હુમલાનો ભોગ બનશે, ખાસ કરીને રમજાનના મહિનામાં. કોઈ મિત્ર મુસ્લિમ દેશ તરફથી આ પ્રકારનો હુમલો થશે એવું કલ્પનામાં પણ નહોતું. સરકારી માલિકીની કંપનીએ જણાવ્યું હતું કે નુકસાન પામેલી બે LNG ટ્રેનોને કારણે ઇટાલી, બેલ્જિયમ, દક્ષિણ કોરિયા અને ચીનને LNG સપ્લાય માટે થયેલા પાંચ વર્ષ સુધીના કરારો પર આકસ્મિક ઘટના જાહેર કરવાની ફરજ પડી શકે છે.

પહેલા શત્રુતા સમાપ્ત કરવી પડશે — અલ-કાબી

ઈરાન પર તેના ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઇઝરાયલના હુમલાઓ પછી ઈરાને ખાડી દેશોના તેલ અને ગેસ પ્લાન્ટ્સ પર સતત હુમલા શરૂ કર્યા છે. બુધવારે કતારના સૌથી મોટા LNG પ્લાન્ટ રાસ લાફાન પર ઈરાની મિસાઈલ હુમલા બાદ તણાવ વધુ વધ્યો, જેને પગલે કતાર એનર્જીએ LNG ઉત્પાદન પર આકસ્મિક ઘટના જાહેર કરી. અલ-કાબીએ જણાવ્યું કે ઉત્પાદન ફરી શરૂ કરવા માટે સૌપ્રથમ શત્રુતા બંધ થવી જરૂરી છે.

 કોની ક્યાં ભાગીદારી

તેમણે જણાવ્યું હતું કે આ હુમલાઓને કારણે સમગ્ર વિસ્તાર 10થી 20 વર્ષ પાછળ ધકેલાઈ ગયો છે અને આ વિસ્તાર સુરક્ષિત રોકાણ સ્થળ તરીકેની તેની છબી પણ ખરડાઈ ગઈ છે. નુકસાન પામેલા LNG પ્લાન્ટોમાં અમેરિકન તેલ કંપની એક્સોનમોબિલ ભાગીદાર છે, જ્યારે નુકસાન પામેલા GTL પ્લાન્ટમાં શેલ કંપની ભાગીદાર છે, જેના સમારકામમાં લગભગ એક વર્ષ લાગી શકે છે, એમ તેમણે કહ્યું હતું.