કંગના રનૌત અને હું પતિ-પત્ની જેવા હતા, આદિત્ય પંચોલીનો દાવો

અભિનેત્રી કંગના રનૌત શરૂઆતમાં આદિત્ય પંચોલી સાથે રિલેશનશિપમાં હતી. તેણે કહ્યું હતું કે આદિત્ય પંચોલી, જે તેના પિતાની ઉંમરનો હતો, તેને ઘરમાં જ બંધ રાખતો હતો. આદિત્યએ કહ્યું હતું કે,”અમે પતિ-પત્ની જેવા હતા. હું યારી રોડ પર અમારા બંને માટે ઘર બનાવી રહ્યો હતો.”

બોલિવુડમાં કેટલાક સંબંધો એવા હોય છે જે તૂટ્યા પછી બહુ જ ચર્ચામાં રહેતા હોય છે. આવો જ એક સંબંધ આદિત્ય પંચોલીનો હતો. આદિત્ય પંચોલી કારકિર્દી અને ફિલ્મો કરતા કંગના રનૌત સાથેના તેના અફેર અને બ્રેકઅપને કારણે વધુ ચર્ચામાં રહ્યા. કંગના ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશી જ હતી ને પરિણીત આદિત્ય પંચોલી તેના પ્રેમમાં પડી ગયો. શરૂઆતમાં આ સંબંધ પ્રેમ અને મીઠાશથી ભરેલો હતો પછી તેમાં કડવાશ આવી ગઈ. જ્યારે બંનેના સંબંધોમાં ખટાશ આવી ત્યારે ઘણી બધી બાબતોના ખૂલાસા થયાં.

કંગનાએ તેને તેના પિતાની ઉંમરનો ગણાવતા કહ્યું હતું કે, “જ્યારે હું 17 વર્ષની હતી ત્યારે આ માણસે મારા માથા પર જોરથી માર માર્યો હતો, અને તેમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. મેં મારું ચંપલ કાઢીને તેના માથા પર જોરથી માર્યું હતું.” તો બીજી બાજુ આદિત્યએ પોતાના ઇન્ટરવ્યુમાં કંગનાને આપેલા સમર્થન અને તેના પતિ-પત્ની જેવા સંબંધો વિશે પણ વાત કરી હતી.

કંગનાએ આદિત્ય પર દુર્વ્યવહાર, હુમલો અને ભાવનાત્મક ત્રાસનો આરોપ લગાવ્યો હતો

કંગના રનૌતે ઉદ્યોગમાં પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે અને હંમેશા તેની સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતી છે. અભિનય ઉપરાંત તે નિર્માણની દુનિયામાં અને હવે રાજકારણમાં પણ નવી જગ્યા બનાવી રહી છે. જોકે, એક સમય હતો જ્યારે આદિત્ય પંચોલી સાથેના તેના સંબંધો હેડલાઇન્સમાં રહેતા હતા. કંગનાએ આદિત્ય પંચોલીના દુર્વ્યવહાર, હુમલો અને ભાવનાત્મક ત્રાસ વિશે પણ વાત કરી.

કંગના રનૌત પહેલા માળેથી કૂદી પડી

કંગનાએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે આદિત્ય પંચોલીએ, જે તેના પિતાની ઉંમરનો હતો, તેને ઘરમાં કેદ કરી રાખતો હતો. આખરે પોતાને બચાવવા માટે તે પહેલા માળની બારીમાંથી કૂદી પડી. તેણે તેની પત્ની પર પણ આરોપ લગાવ્યો અને કહ્યું કે જ્યારે આદિત્યની પત્નીએ પણ મદદ ના કરી ત્યારે તેણે પોલીસની મદદ લેવી પડી. ત્યારબાદ આદિત્ય પંચોલીએ મુંબઈ મિરર સાથે વાત કરતા કંગના પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો.

કંગના અને આદિત્ય પાંચ વર્ષથી રિલેશનશિપમાં હતા

કંગનાએ આદિત્ય સામે શારીરિક શોષણનો આરોપ લગાવીને ફરિયાદ પણ નોંધાવી હતી. આદિત્ય પંચોલી 43 વર્ષના હતા અને કંગના રનૌત 21 વર્ષની હતી જ્યારે તેઓ રિલેશનશિપમાં હતાં. આદિત્યએ કહ્યું હતું કે તે કંગનાને ભૂલી ગયો છે અને હવે ફક્ત એટલું જ ઇચ્છે છે કે તે તેના પર બાકી રહેલી મોટી રકમ પરત કરે.

આદિત્યએ કહ્યું હતું કે, “અમે એકબીજાના સંપકર્માં નહોતા. છતાં તેણીએ મને ફોન પર કહ્યું હતું કે તેને ઘર ખરીદવા માટે લગભગ ₹1 કરોડની જરૂર છે. તેણીએ મારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી આ બન્યું. મેં મારા એક બેંકર મિત્રને ફોન કર્યો અને પછી કંગનાના ગેરંટર તરીકે ઉભા રહીને તેને ₹50 લાખની લોન અપાવી હતી.”

એસિડ એટેક પછી કંગનાની બહેનની સર્જરીનો ખર્ચ પણ ચૂકવ્યો

આ ઇન્ટરવ્યુમાં, આદિત્યએ એ પણ ખુલાસો કર્યો કે તેણે એસિડ એટેક દરમિયાન કંગનાની બહેન રંગોલીના પરિવારને કેવી રીતે મદદ કરી હતી. તેણે કહ્યું, “મેં તેની બહેનની પ્લાસ્ટિક સર્જરી પર 10 લાખ રૂપિયા ખર્ચ્યા હતા, પણ હું તે પૈસા પાછા માંગતો નથી. મેં બધા બિલ ચૂકવી દીધા. જ્યારે મુકેશ ભટ્ટે તેની સાઇનિંગ ફી તરીકે 50,00 રૂપિયા માંગ્યા, ત્યારે મેં તે પણ ચૂકવી દીધા. મેં બધું માફ કરી દીધું છે, પણ હું તેને તેના ઘર માટે ઉધાર આપેલા પૈસા પાછા માંગુ છું.”

તેમણે કંગના સાથેના પોતાના સંબંધો વિશે વિગતવાર જણાવતા કહ્યું,”અમે પતિ-પત્ની જેવા હતા. હું યારી રોડ પર અમારા બંને માટે ઘર બનાવી રહ્યો હતો. અમે છેલ્લા ત્રણ વર્ષથી એક મિત્રના ઘરે સાથે રહેતા હતા. હું તેને ઘણી ફિલ્મો બતાવતો હતો.”