UNSCમાં ઇઝરાયેલે પાકિસ્તાનની આબરૂના લીરેલીરા કર્યા

સંયુક્ત રાષ્ટ્ર: ઇઝરાયલે પાકિસ્તાન પર મોટો હુમલો કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં પાકિસ્તાનની  રેવડી દાણાદાણ કરતાં ઇઝરાયલે કહ્યું છે કે પાકિસ્તાન આ હકીકતને બદલી શકતું નથી કે અલ-કાયદા પ્રમુખ ઓસામા બિન લાદેનને તેની જમીન પર આશરો મળ્યો હતો અને એ ત્યાં જ માર્યો ગયો હતો. ઇઝરાયલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઇસ્લામાબાદની “બેમોઢાળી નીતિઓ”ની કડક ટીકા કરી હતી.

પાકિસ્તાન આતંકવાદીનું આશ્રયસ્થાન

સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલના સ્થાયી પ્રતિનિધિ દૂત ડેની ડેને પાકિસ્તાનના પ્રતિનિધિ આસિમ ઇફ્તિખાર અહેમદ તરફ ઈશારો કરતાં કહ્યું હતું  કે જ્યારે ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં મારવામાં આવ્યો, ત્યારે સવાલ એ નહોતો કે વિદેશી જમીન પર એક આતંકવાદીને કેમ નિશાન બનાવવામાં આવ્યો?’ કોઈએ એ સવાલ પૂછ્યો નહોતો. સવાલ એ હતો કે એક આતંકવાદીને આશરો કેમ આપવામાં આવ્યો?. આજેય એ જ સવાલ પૂછવો જોઈએ.

હમાસને પણ ન મળે છૂટછાટ

ઇઝરાયલે કહ્યું હતું કે જ્યારે બિન લાદેનને કોઈ છૂટછાટ ન મળી હતી તો હમાસને પણ કોઈ છૂટછાટ ન મળવી જોઈએ. આ તીખી ચર્ચા ત્યારે થઈ જ્યારે સુરક્ષા પરિષદમાં ગુરુવારે કતારની રાજધાની દોહામાં હમાસના નેતાઓ પર ઇઝરાયલી હુમલા પર ચર્ચા ચાલી રહી હતી.

પાકિસ્તાને ઇઝરાયલને શું કહ્યું?

પાકિસ્તાની પ્રતિનિધિ અહમદે ઇઝરાયલ પર આંતરરાષ્ટ્રીય કાયદાનું વારંવાર ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો, જેમાં ગાઝામાં “નિષ્ઠુર સૈનિક કાર્યવાહી” અને સિરિયા, લેબેનોન, ઇરાન અને યમન પર વારંવાર કરાયેલા સરહદી હુમલાઓનો સમાવેશ થાય છે. આ બેઠક 9/11 હુમલાની 24મી વર્ષગાંઠના દિવસે યોજાઈ હતી. ઓસામા બિન લાદેન આ હુમલાનો જવાબદાર હતો.

ઇઝરાયલનો આકરો જવાબ

ઇઝરાયલી પ્રતિનિધિ ડેને કહ્યું હતું કે USમાં 9/11નો એ દુઃખદ દિવસ ઇઝરાયલ માટે 7 ઓક્ટોબર જેવો જ અગ્નિ અને લોહીનો દિવસ હતો. તેમણે યાદ અપાવ્યું કે 9/11 પછી સુરક્ષા પરિષદે એક ઠરાવ પસાર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ રાષ્ટ્ર આતંકવાદીઓને ન તો આશરો આપી શકે, ન ફંડ આપી શકે અને ન મદદ કરી શકે. જે કોઈ સરકાર આવું કરે છે, તે આ પરિષદની બાંયધરી જવાબદારીઓનું ઉલ્લંઘન કરે છે. આ સિદ્ધાંત ત્યારે પણ સ્પષ્ટ હતો અને આજે પણ યથાવત્ રહેવા જોઈએ.