LAC પર વર્ષો જૂનો તણાવ સમાપ્ત કરવા ભારત-ચીનનો મોટો પ્લાન

દક્ષિણ એશિયાના બે સૌથી મોટા અને શક્તિશાળી દેશો ભારત અને ચીન વચ્ચે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહેલો ગજગ્રાહ હવે કાયમ માટે શાંત થવાના સંકેત મળી રહ્યા છે. બંને દેશોએ સરહદી વિવાદ અને અવારનવાર થતા સૈન્ય ઘર્ષણને હંમેશા માટે દફનાવી દેવાનો પાકો ઈરાદો કરી લીધો છે. ચીનની ધરતી એટલે કે બેઇજિંગ ખાતે બંને દેશોના ટોચના રાજદ્વારીઓ અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે કલાકો સુધી મેરેથોન બેઠકોનો દોર ચાલ્યો હતો. સરહદી મામલાઓ પર યોજાયેલી આ અત્યંત સંવેદનશીલ કૂટનીતિક ચર્ચામાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર કાયમી શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે 3 મોટી ‘રેડ લાઇન’ નક્કી કરવામાં આવી છે, જેના પર બંને દેશોના પ્રતિનિધિઓએ ઐતિહાસિક સંમતિ દર્શાવી છે. આ અહેવાલ સામે આવતા જ સમગ્ર દક્ષિણ એશિયાના રાજકીય ગલિયારામાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

Poonch, July 18 (ANI): Security personnel stand guard at a site where an encounter took place between terrorists and security forces at Surankote, in Poonch on Tuesday. (ANI Photo)

બેઇજિંગમાં ભારત-ચીનની હાઈ લેવલ સૈન્ય અને રાજદ્વારી ફોજ

આ વ્યૂહાત્મક અને મહત્વપૂર્ણ બેઠકનું સુકાન બંને દેશોના અત્યંત અનુભવી અને સિનિયર રાજદ્વારીઓના હાથમાં હતું. ચાઈનીઝ વિદેશ મંત્રાલયના ડાયરેક્ટર જનરલ હોઉ યાનકી અને ભારતીય વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજીત ઘોષે આ મહાબેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી. ભારત અને ચીન વચ્ચે સરહદી મામલાઓ પર પરામર્શ અને સંકલન માટે બનેલી આ સમિતિ એટલે કે વર્કિંગ મેકેનિઝમ ફોર કન્સલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન (WMCC) નો આ 35 મો રાઉન્ડ હતો.

આ બેઠકની ખાસિયત એ હતી કે ચર્ચાની ટેબલ પર માત્ર વિદેશ મંત્રાલયના જ અધિકારીઓ નહોતા, પરંતુ બંને દેશોના મિલિટરી (સૈન્ય), હોમ (ગૃહ મંત્રાલય) અને ઇમિગ્રેશન વિભાગના ઉચ્ચ સત્તાધીશો પણ મોટી ફાઈલો અને નકશાઓ સાથે સામસામે બેઠા હતા. સૈન્ય અને વહીવટી અધિકારીઓની આટલી મોટી હાજરી જ સાબિત કરે છે કે આ બેઠકના પરિણામો ભવિષ્યની રણનીતિ માટે કેટલા મજબૂત સાબિત થવાના છે.

કલાકોની માથાપચ્ચી બાદ નક્કી થઈ આ ‘૩ રેડ લાઇન’

કલાકો સુધી ચાલેલી આ ગંભીર મંત્રણામાં બંને પક્ષોએ સરહદ સાથે જોડાયેલા અનેક પેચીદા અને સંવેદનશીલ મુદ્દાઓ પર ખુલ્લા મને પોતાના વિચારો રજૂ કર્યા હતા. લાંબી ચર્ચા બાદ મુખ્યત્વે આ 3 રેડ લાઇન પર ફોકસ કરવામાં આવ્યું હતું, જે બંને દેશોના ભવિષ્યના સંબંધોની દિશા નક્કી કરશે:

પહેલી રેડ લાઇન – સરહદનું સીમાંકન અને ભ્રમણાનો અંત: બંને દેશો વચ્ચે સરહદની રેખાને લઈને એકદમ સ્પષ્ટ અને આરપારની વાતચીત થઈ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ભવિષ્યમાં કોઈ પણ સેના માટે વાસ્તવિક સરહદ પાર કરવા પાછળનું કોઈ બહાનું કે ગેરસમજ બાકી ન રહે.

બીજી રેડ લાઇન – બોર્ડર મેનેજમેન્ટ અને પ્રોટોકોલ: સરહદ પર કોઈ પણ પ્રકારની અણધારી કે અપ્રિય ઘટના, સૈનિકો વચ્ચે સામસામે થતી હિંસક ઝપાઝપી અથવા તણાવને રોકવા માટે જમીની સ્તરે ચુસ્ત નિયમો અને સખત પ્રોટોકોલ તૈયાર કરવામાં આવ્યા છે.

ત્રીજી રેડ લાઇન – પરસ્પર સહયોગ અને સ્થિરતા: બંને પક્ષોએ સ્વીકાર્યું છે કે છેલ્લા કેટલાક સમયથી સીમાવર્તી વિસ્તારોમાં શાંતિ જળવાઈ રહી છે અને આ સકારાત્મક માહોલને કોઈ પણ ભોગે આગામી સમયમાં પણ જાળવી રાખવો પડશે.

ભવિષ્યમાં કેવા રહેશે ભારત-ચીનના સંબંધો?

સીમા પર ચાલી રહેલા સૈન્ય તણાવને જળમૂળથી ખતમ કરવા માટે બંને મહાસત્તાઓએ વાતચીતના દરવાજા ક્યારેય બંધ ન કરવાનો મોટો સંકલ્પ લીધો છે. બેઠકમાં સર્વાનુમતે નક્કી કરાયું છે કે આગામી દિવસોમાં પણ રાજદ્વારી અને સૈન્ય સ્તરની હાઈ-લેવલ વાર્તાલાપ સતત ચાલુ રાખવામાં આવશે. આ રણનીતિ પાછળનો મુખ્ય ટાર્ગેટ એ સુનિશ્ચિત કરવાનો છે કે, સરહદ પર શૂન્ય (0) ડિગ્રીથી પણ નીચા તાપમાનમાં દેશની રક્ષા કરતા સૈનિકો વચ્ચે કોઈ પણ પ્રકારની ગેરસમજ કે હિંસક અથડામણ ન થાય અને બંને દેશોના સરહદી વિસ્તારોમાં સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ જળવાઈ રહે.