શ્રીલંકાના અંધકાર વચ્ચે ભારત બન્યું આશાનું કિરણ

માર્ચ મહિનાના બીજા અઠવાડિયાથી શરૂ થયેલા અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધે વૈશ્વિક સપ્લાય ચેઈનને છિન્નભિન્ન કરી દીધી છે. ખાડી દેશોમાંથી આવતા તેલના ટેન્કરો પર થતા હુમલાઓને કારણે અનેક દેશોએ શ્રીલંકાને તેલ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ ગંભીર સ્થિતિમાં 24 માર્ચ 2026ના રોજ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને પીએમ મોદી વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત બાદ ભારતે ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિ હેઠળ તાત્કાલિક મદદ મોકલવાનો નિર્ણય કર્યો હતો. 28 માર્ચના રોજ ભારતથી મોકલેલો 38,000 મેટ્રિક ટન તેલનો જથ્થો કોલંબોના કિનારે પહોંચતા શ્રીલંકાએ રાહતનો શ્વાસ લીધો છે.

 

શ્રીલંકામાં ઉર્જા સંકટ એટલું ઘેરું બન્યું છે કે સરકારે વીજળી અને ઈંધણ બચાવવા માટે કડક પગલાં ભરવા પડ્યા છે. દેશમાં અત્યારે 4 દિવસનું વર્કિંગ વીક અમલી બનાવવામાં આવ્યું છે, જેના કારણે રેલવે સ્ટેશનો અને બસ સ્ટેન્ડ પર સન્નાટો જોવા મળી રહ્યો છે. અનેક આઈટી કંપનીઓએ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપી દીધું છે. વીજળીના વપરાશમાં 25% ઘટાડો કરવા માટે સ્ટ્રીટ લાઈટો બંધ કરી દેવામાં આવી છે અને સરકારી અધિકારીઓને એસી (AC) ના બદલે ટેબલ ફેન વાપરવાની સૂચના અપાઈ છે. ઈલેક્ટ્રિક વાહન માલિકોને પણ રાત્રે ચાર્જિંગ ન કરવા અને સોલાર ઉર્જાનો ઉપયોગ કરવા જણાવાયું છે.