વૈશ્વિક સ્તરે ટેક્નોલોજી અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનવાના ભારતના સપનાને એક નવો અને મજબૂત વેગ મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 5 દેશોની મહત્વપૂર્ણ વિદેશ યાત્રાના બીજા પડાવ દરમિયાન, ભારતે નીધરલેન્ડ્સ સાથે દેશમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને વધુ શક્તિશાળી બનાવવા માટે એક ઐતિહાસિક કરાર કર્યો છે. આ મહત્વકાંક્ષી કરાર ભારતની અગ્રણી કંપની ટાટા ગ્રુપ અને નીધરલેન્ડ્સની વિશ્વવિખ્યાત સેમિકન્ડક્ટર કંપની ASML વચ્ચે થયો છે. પીએમ મોદીએ આ ડીલને ભવિષ્યના તકનીકી ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેના સહયોગને એક નવી ઊંચાઈ પર લઈ જનારું ગણાવ્યું છે.

ગુજરાતના ધોલેરા પ્લાન્ટને મળશે વૈશ્વિક તાકાત
આ ઐતિહાસિક કરાર અંગે ખુશી વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક વિશેષ પોસ્ટ શેર કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું કે, “નીધરલેન્ડ્સના પ્રધાનમંત્રી રોબ જેટેન અને હું ભારતમાં સેમિકન્ડક્ટર નિર્માણ ઇકોસિસ્ટમને આગળ વધારવા માટે ટાટા ગ્રુપ અને ASML વચ્ચે થયેલા કરારના સાક્ષી બન્યા છીએ.” આ સમજૂતી હેઠળ, ASML કંપની ગુજરાતના ધોલેરા ખાતે સ્થાપિત થઈ રહેલી ‘ટાટા ઇલેક્ટ્રોનિક્સ’ની આગામી સેમિકન્ડક્ટર ફેક્ટરીના નિર્માણ, ટેક્નોલોજી સપોર્ટ અને ભવિષ્યના વિસ્તરણમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું કે, “સેમિકન્ડક્ટરના હબ તરીકે ઉભરી રહેલા ભારતની આ પ્રગતિ આપણા દેશના યુવાનો માટે રોજગારી અને સ્ટાર્ટઅપની વિશાળ તકો લઈને આવી રહી છે. આ એક એવું ક્ષેત્ર છે, જેમાં આવનારા સમયમાં અમે વધુ ઝડપ, તાકાત અને નવી ઊર્જા ઉમેરતા રહીશું.”
યુરોપનું ઇનોવેશન ઇકોસિસ્ટમ હવે ભારત આવશે: પીએમ મોદી
નીધરલેન્ડ્સના ધ હેગ ખાતે આયોજિત બંને દેશોના સીઈઓ (CEO) ની હાઈ-લેવલ રાઉન્ડ ટેબલ મીટિંગને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ વ્યાપારી સમુદાયને ભારતમાં રોકાણ કરવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, “ભારત અને નીધરલેન્ડ્સ વચ્ચે સતત મજબૂત થઈ રહેલી વ્યૂહાત્મક ભાગીદારી આપણા આર્થિક અને વ્યાપારિક સંબંધોને એક નવી પ્રેરણા આપી રહી છે. હવે આ દિશામાં વધુ ઝડપથી આગળ વધવાની જવાબદારી નીધરલેન્ડ્સના બિઝનેસ લીડર્સના હાથમાં છે.”
પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ડીલ બાદ નીધરલેન્ડ્સના ઉદ્યોગપતિઓ ભારતમાં પોતાનો સ્કોપ, ઇન્વેસ્ટમેન્ટ અને એમ્બિશન (મહત્વાકાંક્ષા) વધારશે. એટલું જ નહીં, આ સેમિકન્ડક્ટર કરારના માધ્યમથી નીધરલેન્ડ્સની સાથે-સાથે સમગ્ર યુરોપનું હાઈ-ટેક ઇનોવેશન ઇકોસિસ્ટમ પણ ભારત તરફ આકર્ષિત થશે, જે લાંબા ગાળે વૈશ્વિક સપ્લાય ચેઈનમાં ભારતનું કદ ઘણું મોટું કરી દેશે.




