ઈરાન: દિવંગત સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈની યાદમાં આયોજિત કાર્યક્રમોની શરૂઆત 4 જુલાઈ 2026થી થશે. અહેવાલ મુજબ, આ અંતિમ સંસ્કારના કાર્યક્રમમાં સામેલ થવા માટે ભારત તરફથી બિહારના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈન અને વિદેશ રાજ્ય મંત્રી પબિત્રા માર્ગેરિટા હાજરી આપશે. ઈરાનના અનેક શહેરોમાં 4 થી 9 જુલાઈ સુધી અંતિમ સંસ્કારના કાર્યક્રમો યોજાવાના છે, જેમાં લાખો લોકો અને અનેક વિદેશી વીઆઈપી (VIP) મહેમાનો આવે તેવી શક્યતા છે.
ઈરાને મોકલ્યું હતું આમંત્રણ
ઈરાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અયાતુલ્લા અલી ખામેનેઈની રાજકીય અંતિમવિધિમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું. ઈરાની મીડિયાના જણાવ્યા અનુસાર, 4 અને 5 જુલાઈએ તેહરાનના ‘ઇમામ ખુમેની મોસાલા પ્રાર્થના હોલ’માં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ 6 અને 7 જુલાઈએ રાજધાની તેહરાન અને મધ્ય ઈરાનના શહેર કોમ (Qom)માં અંતિમ યાત્રા કાઢવામાં આવશે. ત્યારપછી 9 જુલાઈએ ઉત્તર-પૂર્વીય શહેર મશહદમાં અંતિમ સંસ્કારનો છેલ્લો કાર્યક્રમ યોજાશે. તે જ દિવસે દિવંગત નેતાના પાર્થિવ દેહને શિયા મુસ્લિમોના આઠમા ઇમામ, ‘ઇમામ રઝા’ના પવિત્ર દરગાહ પરિસરમાં દફનાવવામાં આવશે.
એરસ્ટ્રાઈકમાં થયું હતું મોત
લાંબા સમય સુધી ઈરાનના સર્વોચ્ચ નેતા રહેલા ખામેનેઈનું 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયેલના એરસ્ટ્રાઈકમાં મોત થયું હતું. ત્યારબાદ માર્ચની શરૂઆતમાં તેમના પુત્ર મોઝતબા ખામેનેઈને ઈરાનના નવા સર્વોચ્ચ નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. માર્ચ મહિનામાં ખામેનેઈના મોતને અમેરિકા અને ઈઝરાયેલ તરફથી કરવામાં આવેલા એક ઐતિહાસિક હુમલાનું પરિણામ ગણાવવામાં આવ્યું હતું. આ ઘટનાને ઈરાનમાં 46 વર્ષ જૂના શિયા ધાર્મિક શાસન (Theocratic Regime) માટે એક મોટો ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવી રહ્યો છે, જ્યારે તેહરાનની જવાબી કાર્યવાહી બાદ મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) ના ઘણા હિસ્સાઓમાં તણાવ અને સંઘર્ષ વધી ગયો છે.

અન્યના પણ થયા હતા મોત
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તે સમયે અયાતુલ્લા અલી ખામેનેઈના મોતની સત્તાવાર જાહેરાત કરી હતી. ખામેનેઈ 86 વર્ષના હતા અને છેલ્લા 36 વર્ષથી ઈરાન પર મજબૂત પકડ સાથે શાસન કરી રહ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, અમેરિકા-ઈઝરાયેલના આ હુમલામાં ખામેનેઈના ચાર નજીકના સંબંધીઓ પણ માર્યા ગયા હતા. જેમાં તેમની પુત્રી, એક પૌત્ર/દોહિત્ર અને તેમના જમાઈનો સમાવેશ થાય છે.




