ગાંધીનગર: ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળના જનગણના કાર્ય નિદેશાલયના ગુજરાત વિભાગ દ્વારા મંગળવારે સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જનગણના 2027 એ દેશની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે. આ વખતની જનગણના સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. અગાઉ દેશભરમાં છેલ્લે વર્ષ 2011માં જનગણના કરવામાં આવી હતી. આ ગણતરી દેશના દરેક નાગરિકના મજબૂત અને ઉજ્જવળ ભવિષ્ય માટેની છે.
સુજલ મયાત્રાએ વધુ વિગતો આપતા કહ્યું, ‘જનગણનાથી જન કલ્યાણ’ના મંત્ર સાથે યોજાનાર જનગણનાની કામગીરી મુખ્યત્વે બે તબક્કામાં વહેંચવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ‘ઘરયાદી અને મકાનોની ગણતરી’ (HLO) કરવામાં આવશે. જે ગુજરાતમાં 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન હાથ ધરવામાં આવશે. આ તબક્કા દરમિયાન આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામતો છે કે નહીં તેવાં કુલ 34 પ્રશ્નો પૂછવામાં આવશે. બીજા તબક્કામાં ‘વસ્તીની ગણતરી’ (PE) કરવામાં આવશે. જે આગામી 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન કરવામાં આવશે. આ બીજા તબક્કા દરમિયાન જ જાતિ ગણતરીની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આ કાર્ય માટે રૂ. 11,718.24 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે.
સુજલ મયાત્રાએ ઉમેર્યું કે, આ વખતે જનગણનામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એન્ડ્રોઇડ અને iOS એપ પર ગુજરાતી સહિત 16 ભાષાઓમાં તેમજ ઓફલાઇન ડેટા એકત્રિત કરવામાં આવશે. નાગરિકો માટે ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration)નો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે, જેમાં ઉત્તરદાતાઓ 17 મેથી 31 મે, 2026 દરમિયાન પોર્ટલ https://se.census.gov.in પર પોતાની વિગતો જાતે ભરી શકશે. સ્વ-ગણતરી બાદ પ્રાપ્ત થયેલ SE ID ગણતરીદારની મુલાકાત વખતે આપવાનો રહેશે. સ્વ-ગણતરી ડેટાની પુષ્ટિ કર્યા પછી, ગણતરીદાર તેને મૂળ ડેટાબેઝમાં સમાવશે. આ પ્રક્રિયાથી ડેટા સંગ્રહ ઝડપી બનશે અને ફિલ્ડ વર્કનું ભારણ ઘટશે.
સુજલ મયાત્રાએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગામડાઓમાં વસ્તી ગણતરી યોજાશે. આ વસ્તી ગણતરીમાં 1,10,598 હાઉસલિસ્ટિંગ બ્લોક્સ (HLBs); 1,09,038 ગણતરીદારો તેમજ 18,254 સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ગણતરીદારો, સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણના અધિકારીઓને ત્રણ તબક્કામાં તાલીમ આપવામાં આવી રહી છે.
ડેટા સુરક્ષા અંગે ખાતરી આપતા સુજલ મયાત્રાએ જણાવ્યું કે, જનગણના અધિનિયમ, 1948 અને જનગણના નિયમો, 1990ની જોગવાઈ હેઠળ એકત્રિત કરાયેલી તમામ વ્યક્તિગત માહિતી ગુપ્ત રાખવામાં આવશે. તેનો ઉપયોગ કાનૂની અથવા કરવેરાના હેતુઓ માટે કરી શકાશે નહીં. દરેક વ્યક્તિ સાચી અને સંપૂર્ણ માહિતી આપવા માટે કાયદેસર રીતે બંધાયેલ છે. માહિતી આપવાનો ઇનકાર કરવા બદલ દંડની જોગવાઈ પણ છે. જનતાને કોઈપણ મૂંઝવણ હોય અથવા તો માહિતી જોઈતી હોય તો તે માટે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ટોલ-ફ્રી નંબર 1855 પર કોલ કરી શકે છે. અથવા વેબસાઇટ www.censusindia.gov.in પર સંપર્ક પણ કરી શકે છે.




