જેરુસલેમઃ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના સૌથી મોટા દીકરા યાઈર નેતન્યાહૂની મુસ્લિમ વિરોધી પોસ્ટને લઈને ફેસબૂકે તેનું એકાઉન્ટ 24 કલાક માટે બંધ કરી દીધું. યાઈર નેતન્યાહૂએ સોશિઅલ નેટવર્કિંગ સાઈટના આ પગલાંને તાનાશાહી પગલું ગણાવ્યું. હકીકતમાં પેલેસ્ટાઈન દ્વારા થયેલા ઘાતક હુમલાઓ બાદ યાઈર નેતન્યાહૂએ પોતાના ફેસબૂક પેજ પર પોસ્ટ કરી હતી. આમાં યાઈરે લખ્યું હતું કે તમામ મુસ્લિમો ઈઝરાયલ છોડી દે.
યાઈરે અન્ય એક પોસ્ટમાં લખ્યું હતું કે શાંતિના માત્ર બે જ સંભવિત સમાધાન છે કાંતો તમામ યહૂદી ઈઝરાયલ છોડી દે અથવા તમામ મુસલમાન ઈઝરાયલ છોડી દે. યાઈરે આ ટિપ્પણી ત્યારે કરી કે શુક્રવારના રોજ મધ્ય વેસ્ટ બેંક પાસે એક રહેણાંક વિસ્તારમાં આવેલા બસ સ્ટેશન પર થયેલા હુમલામાં બે સૈનિકોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.
આ જ દિવસે થયેલા એક અન્ય હુમલામાં એક મહિલાને ગોળી વાગવાના કારણે તે ઘાયલ થઈ ગઈ અને આ મહિલાની સમય પહેલાં જ પ્રસૂતિ થઈ ગઈ. બાદમાં આ મહિલાના બાળકનું મૃત્યુ થયું. ફેસબૂક પર યાઈર નેતન્યાહૂની પોસ્ટ સાઈટ પરથી હટાવી દેવામાં આવી. આ મામલે યાઈરે ટ્વિટર પર ફેસબૂકની કડક આલોચના કરી અને ફેસબૂકના આ પગલાંને તાનાશાહી ગણાવ્યું.
પ્રાપ્ત વિગતો અનુસાર યાઈરના ફેસબુક અકાઉન્ટને 24 કલાક માટે બ્લોક કરી દેવામાં આવ્યું. ઈઝરાયલના વડાપ્રધાનના દિકરાએ વેસ્ટ બેંક ગોળીબારમાં મૃત્યુ પામેલા સુરક્ષા દળના બે જવાનોના મોતનો બદલો મોતથી લેવા આહ્વાન કર્યું હતું. ત્યારબાદ ફેસબુક દ્વારા કાર્યવાહી કરવામાં આવી.