વિદિશા મૈત્રાએ 5 મીનિટમાં જ યુએનમાં પાક.પીએમના જુઠ્ઠાણાને છતું કર્યું…

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના જુઠ્ઠાણાને ભારતે થોડા જ સમયમાં ધ્વસ્ત કરી દીધું. ઈમરાન ખાનના પ્રોપગેંડાને બેનકાબ કરવાની જવાબદારી ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પોતાની સૌથી નવી ઓફિસર વિદિશા મૈત્રાને આપી હતી. વિદિશા મૈત્રા યુએનમાં ભારતની પ્રથમ સચિવ છે અને યૂએન મિશનમાં તેઓ ભારતના સૌથી નવા અધિકારી છે.

UNમાં ભારતના પ્રથમ સચિવ વિદિશા મૈત્રાએ રાઈટ ટુ રિપ્લાયના હકનો ઉપયોગ કરતા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આપેલા ભડકાઉ ભાષણનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે પાકિસ્તાને યુએનમાં આતંકવાદને યોગ્ય ઠેરવ્યો. પાકિસ્તાને દુનિયાના સૌથી મોટા મંચનો દુરઉપયોગ કર્યો. પાકિસ્તાન એક એવો દેશ છે જે આતંકવાદીઓને પેન્શન આપે છે. ત્યાં 130 આતંકીઓને પેન્શન આપવામાં આવે છે. ઈમરાન ખાનનું ભાષણ નફરતભર્યું હતું. તેમણે કહ્યું કે પરમાણુ હુમલાની ધમકી આપીને ઈમરાન ખાને અસ્થિરતા પેદા કરવાની કોશિશ કરી છે.

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ઈમરાન ખાને આપેલા  ભાષણને હેટ સ્પીચ ગણાવતા કહ્યું કે તેમણએ આ વૈશ્વિક મંચનો દુરઉપયોગ કર્યો છે. ભારતે ઈમરાનના નસ્લીય સંહાર, બ્લડ બાથ, નસ્લીય સર્વોચ્ચતા, બંદૂક ઉઠા લો જેવા એક એક શબ્દોને ગણાવતા કહ્યું કે આ તેમની મધ્યકાલીન માનસિકતા દર્શાવે છે. વિદિશાએ યુએનમાં સ્પષ્ટપણે કહ્યું કે ઈમરાન ખાનની બોલી દરેક વાત જુઠ્ઠાણું છે.

ભારતના પ્રથમ સચિવે કહ્યું કે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રને કહ્યું છે કે તેઓ ઓબ્ઝર્વર મોકલીને એ વાતની તપાસ કરાવી લે કે પાકિસ્તાનમાં આતંકીઓ છે કે નહીં. શું ઈમરાન ખાન જણાવશે કે આતંકીઓને પેન્શન કેમ આપવામાં આવી રહ્યું છે. શું એ વાતથી ઈન્કાર કરશે કે તેઓ ઓસામા બિન લાદેનનો બચાવ કરતા રહ્યાં હતાં.

તેઓ પોતાના જુઠ્ઠાણાથી માનવાધિકારના ચેમ્પિયન બનવા માંગે છે. પરંતુ સચ્ચાઈ એ છે કે પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યાં છે. પાકિસ્તાને પોતાના જ લોકો પર અત્યાચાર કર્યા હતાં અને આ જ કારણએ બાંગ્લાદેશની સ્થાપના થઈ. ભારતને  જે જૂના કાયદાને હટાવ્યો છે તેના પર પાકિસ્તાન દુષ્પ્રચાર કરી રહ્યું છે. ભારત જમ્મુ અને કાશ્મીરને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા માંગે છે. ભારતના લોકોને કોઈ પણ બીજા દેશની સલાહ કે શીખામણની જરૂર નથી. પાકિસ્તાન નફરતની વિચારધારા પર ચાલનારો દેશ છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં પોતાના સંબોધન  દરમિયાન એકવાર ફરીથી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે કાશ્મીરમાંથી કરફ્યુ હટ્યા બાદ ત્યાં લોહી વહેશે. આ અગાઉ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં પોતાના સંબોધનમાં દુનિયાને શાંતિનો સંદેશ આપ્યો.