ગ્વાલિયરઃ મધ્ય પ્રદેશના ગ્વાલિયર જિલ્લાના ડબરા શહેરમાં મંગળવારે એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન થયેલી નાસભાગમાં એક મહિલાનું મોત થયું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માતમાં એક બાળકી સહિત સાત લોકો ઘાયલ થયા છે. સવારે મંદિરના ઉદ્ઘાટન સમારોહ અંતર્ગત આયોજિત ‘કળશ યાત્રા’ માટે મોટી સંખ્યામાં મહિલાઓ ડબરા સ્ટેડિયમ પાસે ભેગી થઈ હતી ત્યારે નાસભાગ મચી ગઈ હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ગ્વાલિયરમાંથી આશરે 45 કિલોમીટર દૂર ડબરમાં ભૂતપૂર્વ મંત્રી અને ભાજપના નેતા નરોત્તમ મિશ્રા દ્વારા બનાવવામાં આવેલા નવગ્રહ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગ્વાલિયરની જિલ્લા કલેક્ટર રુચિકા ચૌહાણે પત્રકારોને જણાવ્યું હતું કે સવારે મોટી સંખ્યામાં મહિલાઓ કળશ લેવા માટે સ્ટેડિયમમાં એકત્ર થઈ હતી. એ દરમિયાન ધક્કામુક્કી થતાં ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. તેમણે જણાવ્યું કે આ ઘટનામાં 70 વર્ષીય રતિ સાહુનું મોત થયું છે, જ્યારે છ મહિલાઓ અને એક બાળકી ઘાયલ થયાં છે. ઘાયલોમાંથી ત્રણનો ઈલાજ ગ્વાલિયરમાં અને ચારનો ડબરામાં ચાલી રહ્યો છે. હાલ ડબરાની સ્થિતિ શાંત છે અને વ્યવસ્થાઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ગ્વાલિયર રેન્જના પોલીસ મહાનિરીક્ષક (IG) અરવિંદ સક્સેનાએ જણાવ્યું કે કળશ વિતરણ દરમિયાન એક સાથે મોટી સંખ્યામાં મહિલાઓ આગળ વધતા ભાગદોડ જેવી પરિસ્થિતિ ઊભી થઈ. તેમાં એક મહિલાનું મોત થયું. તેમણે ઉમેર્યું હતું કે કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ડબરામાં વધારાનું પોલીસ બળ તહેનાત કરવામાં આવ્યું છે અને વ્યવસ્થાઓ વધુ મજબૂત કરવામાં આવી રહી છે.

કલેક્ટર રુચિકા ચૌહાણે જણાવ્યું હતું કે આજે સવારે ડબરામાં કળશ યાત્રા યોજાવાની હતી. મોટી સંખ્યામાં મહિલાઓ કળશ લેવા આવી હતી. જ્યારે કળશ વિતરણ શરૂ થયું ત્યારે ઝડપથી લેવા માટે ધક્કામુક્કી થઈ હતી. વધારે ઉત્સાહને કારણે લાઇનમાં અવ્યવસ્થા સર્જાઈ અને ધક્કામુક્કીમાં 70 વર્ષીય શ્રીમતી સાહુનું દમ ઘૂંટાઈ જવાથી મોત થયું. ચાર મહિલાઓ હોસ્પિટલમાં દાખલ છે અને ત્રણ લોકોને ગ્વાલિયર રેફર કરવામાં આવ્યા છે, જેમાં ચાર વર્ષની એક બાળકી પણ સામેલ છે.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ભીડ ખૂબ જ વધારે હતી અને કેટલીક મહિલાઓ એકબીજાને ધક્કા મારવા લાગી, જેને કારણે અફરાતફરી મચી ગઈ. જિલ્લા પ્રશાસને જણાવ્યું કે આ ઘટના છતાં કળશ યાત્રા પછીથી નિર્ધારિત માર્ગ પર આગળ વધી અને કોઈ બીજી અનિચ્છનીય ઘટના વિના નવગ્રહ મંદિરે પહોંચી હતી.




