મુંબઈ: કાંદિવલી સહિત પશ્વિમનાં પરાંઓના નિવાસીઓને રાહત થાય એવી ઘટનાનો બની છે. નવ દાયકા જુની અને જાણીતી ચેરિટેબલ હોસ્પિટલ શ્રી કાંદિવલી હિતવર્ધક મંડળ હોસ્પિટલ (કેએચએમ)માં હવે હ્રદય સંબંધી સારવારના ભાગરૂપ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી થઈ શકે છે. તા. ૨૬ જાન્યુઆરીના રોજ કેથલેબના દાતા આશિત મહેતા અને તેમના પરિવારના સભ્યોએ હોસ્પિટલમાં આ નિમિત્તે કેથલેબ મશીન અને તેના સ્પેશ્યલ રૂમની વિધિસર પૂજા કરી હતી.
આર્થિક દ્રષ્ટિએ અક્ષમ એવા દર્દીઓ આ સુવિધાનો લાભ લઈ શકે એ માટે હોસ્પિટલના સંચાલકોએ પ્રથમ ૧૧ દર્દીઓને નિશુલ્ક અને પછીના દસ દર્દીઓને પચાસ ટકા રાહતના દરે આ સવલત ઉપલબ્ધ કરવાની જાહેરાત કરી છે. આ માટેના કેસો સંચાલકો પાત્રતાના નિર્ધારિત ધોરણોને આધારે સ્વીકારશે, જરૂરતમંદ દર્દીઓ આ માટે અરજી કરી શકે છે.
આ શુભારંભ પ્રસંગે કેએચએમના તમામ ટ્રસ્ટીઓ, સંચાલકો તેમ જ હોસ્પિટલ સાથે સંકળાયેલા ડોકટર્સ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધીઓ અને અગ્રણી નાગરિકો-દાતાઓ પણ હાજર રહયા હતા અને આ સુવિધાનું નિરીક્ષણ કરીને તેને બિરદાવી હતી. કેથેરાઈઝેશન લેબોરેટરીઝ (કેથલેબ) એવી સુવિધા છે, જેમાં હાર્ટની આર્ટરીઝ અને ચેમ્બર્સ ઓફ હાર્ટની ચકાસણીના આધારે હ્રદયની જરૂરી સારવાર કરી શકાય છે. કાંદિવલી હિતવર્ધક હોસ્પિટલમાં કેથલેબના આ શુભારંભ પ્રસંગે દાતા આશિત મહેતા સાથે હિતવર્ધક મંડળના પ્રેસિડન્ટ રજનીભાઈ ઘેલાણી, મેનેજિંગ ટ્રસ્ટી વિનોદભાઈ વોરા, વાઈસ પ્રેસિડન્ટ ભરત શાહ, ટ્રેઝરર અનંતરાય મહેતા, મેડિકલ ડિરેકટર ડો. ઉમેશ ખન્ના, કાર્ડિઓલોજિસ્ટ ડો. સુરિન્દર હંસરા, ચીફ મેડિકલ ઓફિસર ડો. નીતા સિંઘી અને રોટેરિયન નિકુંજ ઝવેરી સહિત વિવિધ અગ્રણીઓ ખાસ હાજર રહયા હતા.


