અમે નહીં કેજરીવાલ છે ગદ્દારઃ સ્વાતિ માલીવાલનો આરોપ

15

નવી દિલ્હીઃ આપ પાર્ટીને શુક્રવારે અત્યાર સુધીનો સૌથી મોટો આંચકો લાગ્યો હતો. પાર્ટીના સાત રાજ્યસભાના સાંસદોએ પક્ષ છોડી દીધો. ભાજપમાં જોડાયા બાદ સ્વાતિ માલીવાલે AAP પ્રમુખ અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા હતા અને તેમના પર મારપીટ કરાવવાનો, સંસદમાં તેમનો અવાજ દબાવવાનો તેમ જ ભ્રષ્ટાચાર અને ગુંડાગીરીવાળી પાર્ટી ચલાવવાનો આરોપ લગાવ્યો હતો.

 ‘અરવિંદ કેજરીવાલ ગદ્દાર છે’ – સ્વાતિ માલીવાલ

સ્વાતિ માલીવાલે કહ્યું હતું કે આજના સમયમાં જો કોઈ ગદ્દાર છે, તો તે અરવિંદ કેજરીવાલ છે. તેમણે કહ્યું હતું કે જ્યારે અરવિંદ કેજરીવાલે આંદોલન શરૂ કર્યું હતું, ત્યારે તેઓ રૂ. બેની પેન વાપરતા, ફાટેલી શર્ટ પહેરતા અને જૂની ગાડીમાં ફરતા. આ બધું જોઈને અમે ખૂબ પ્રેરિત થતા અને દેશના લોકો પણ તેમનાથી પ્રભાવિત થયા હતા. પરંતુ જેમ જ તેમને સત્તા મળી, તેમણે તરત જ પોતાના માટે રૂ. 100 કરોડનું ઘર બનાવી લીધું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે હું AAP છોડીને ભાજપમાં જોડાઈ ગઈ છું. હું 2006થી અરવિંદ કેજરીવાલ સાથે કામ કરી રહી હતી અને દરેક આંદોલનમાં તેમનો સાથ આપ્યો હતો, પરંતુ અરવિંદ કેજરીવાલે મારા જ ઘરમાં એક ગુંડાથી મારી ઉપર હુમલો કરાવ્યો. જ્યારે મેં તેના વિરોધમાં અવાજ ઉઠાવ્યો, ત્યારે મને ધમકાવવામાં આવી અને આ ઘટનાની FIR પાછી ખેંચવા માટે મારા પર ભારે દબાણ કરવામાં આવ્યું. પાર્ટીએ મને બે વર્ષ સુધી સંસદમાં બોલવાની કોઈ તક આપી નહીં. આ ખૂબ શરમજનક છે. અરવિંદ કેજરીવાલ મહિલાવિરોધી છે.

પંજાબને કેજરીવાલે પર્સનલ ATM બનાવી દીધું

તેમણે AAP નેતૃત્વ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા. તેમણે કહ્યું હતું કે હવે તેઓ પંજાબમાં ઘૂસી ગયા છે અને રાજ્ય સરકારને રિમોટથી કન્ટ્રોલ કરવામાં આવી રહી છે. પંજાબને તેમનું વ્યક્તિગત ATM બનાવી દેવામાં આવ્યું છે. પંજાબમાં રેતી ખનન અને ડ્રગ્સનો ઉપયોગ ચરમસીમાએ છે. જે નેતાઓ તેમના વિરુદ્ધ અવાજ ઉઠાવે છે, તેમની સામે FIR નોંધાય છે. અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચાર અને ગુંડાગીરી માટે ઓળખાય છે.