ખડગેએ કહ્યું, પાર્ટીના બધા મહત્ત્વના નિર્ણય સોનિયા ગાંધીના હાથમાં

બેંગલુરુઃ કર્ણાટકમાં શું મુખ્ય મંત્રી બદલાશે? શું સિદ્ધારમૈયાની જગ્યાએ ડીકે શિવકુમાર આવશે? આવા અનેક પ્રશ્નો કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો વચ્ચે વારંવાર ઊઠતા રહ્યા છે. એટલું જ નહીં, ડીકે શિવકુમારના સમર્થકો પણ ઘણી વખત દાવો કરતા જોવા મળ્યા છે કે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારનો કાર્યકાળ અઢી-અઢી વર્ષનો રહેશે, પરંતુ એવું કંઈ બન્યું નથી.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ફરી એક વાર સિદ્ધારમૈયા અને ઉપમુખમંત્રી ડીકે શિવકુમારને લઈને ચાલી રહેલા વિવાદ પર નિવેદન આપ્યું છે. ખડગેએ ગુરુવારે કહ્યું હતું કે પાર્ટી આ મુદ્દાને જલદીથી ઉકેલી દેશે. આ ઘટના કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરના નિવેદનના એક દિવસ પછી સામે આવી છે, જેમાં તેમણે કહ્યું હતું કે જો ખડગે મુખ્ય મંત્રી બને તો સત્તારૂઢ કોંગ્રેસ પાર્ટીના બધા લોકો તેમનું સ્વાગત કરશે. મિડિયા સાથે વાત કરતાં ખડગેએ આ અટકળોને નકારી કાઢી અને કહ્યું હતું કે તેમના વિશેના નિર્ણય સોનિયા ગાંધી લે છે. તેમણે કહ્યું હતું કે તમે (મીડિયા), તેઓ (પરમેશ્વર) અને ઉપર બેઠેલા લોકો કહે છે કે હું મુખ્ય મંત્રી બનું તે સારું રહેશે. પરંતુ નસીબથી વધુ, મારી વિચારધારા અને પાર્ટી પ્રત્યેની મારી સેવાને આધારે સોનિયા ગાંધી મારા વિશે નિર્ણય લે છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે હાલમાં તો આ પ્રશ્ન ઊભો જ થતો નથી. અહીં પહેલેથી જ મુખ્ય મંત્રી છે. જો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને હું મળીને કોઈ બદલાવ અંગે નિર્ણય લઈએ, તો તેમાં થોડો સમય લાગશે. જોઈએ શું થાય છે.ઉપમુખમંત્રી ડીકે શિવકુમારના સમર્થકો 2023ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જીત પછી થયેલા સત્તા-ભાગીદારી કરાર મુજબ તેમને મુખ્ય મંત્રી બનાવવાની માગ ઉઠાવી રહ્યા છે. પાછલા વર્ષના નવેમ્બરમાં કર્ણાટકમાં કોંગ્રેસ સરકારનો અડધો કાર્યકાળ પૂર્ણ થતાં જ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે સત્તા સંઘર્ષ તેજ થયો હતો. ડીકેએસના ઘણા વિધાયકો અને એમએલસી દિલ્હીમાં ડેરા નાખીને બેઠા રહ્યા હતા, જેથી પાર્ટીના હાઇકમાન્ડ પર તેમને આગામી મુખ્યમંત્રી બનાવવા દબાણ કરી શકાય.