લંડન: કુમાર મંગલમ બિરલા, યુનિવર્સિટી ઓફ લંડનથી માનદ ડિગ્રી પ્રાપ્ત કરનારા પાંચ પ્રતિષ્ઠિત મહાનુભાવો પૈકીના એક છે. પ્રોફેસર સર હિલેરી બેકલ્સ, સર ટેરી વેઇટ, સુસાન્ના શ્કોફિલ્ડ એમ.બી.ઈ. અને ધ રેવરેન્ડ ફિલિપ ગૉફને પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
કુમાર મંગલમ બિરલા આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન છે, જે એક સદી જૂનું અગ્રણી બહુરાષ્ટ્રીય અને વિદેશમાં સાહસ કરનારું પહેલું ભારતીય બિઝનેસ હાઉસ છે. આજે તે છ ખંડોમાં 41 દેશોમાં કામગીરી ધરાવે છે અને તેની આવક 67 અબજ ડોલર જેટલી અને માર્કેટ કેપિટલાઇઝેશન 110 અબજ ડોલરથી વધુ છે.
બિરલા પરિવારના છઠ્ઠી પેઢીના વંશજ એવા કુમાર મંગલમના વડદાદા જી. ડી. બિરલા, મહાત્મા ગાંધીના વિશ્વાસુ હતા અને ભારતના સ્વાતંત્ર્ય ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શિક્ષણના પ્રખર સમર્થક, બિરલા બી.આઈ.ટી.એસ. પિલાનીના ચાન્સેલર છે અને આઈ.આઈ.એમ. અમદાવાદ તથા આઈ.આઈ.ટી. દિલ્હીના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ લંડન બિઝનેસ સ્કૂલના ગવર્નિંગ બોર્ડના સભ્ય પણ છે, જ્યાં તેમણે 15 મિલિયન પાઉન્ડની શિષ્યવૃત્તિ આપી હતી. જે યુરોપમાં સૌથી મોટી શિષ્યવૃત્તિઓમાંની એક છે.
ડોક્ટર ઓફ સાયન્સ (ઇકોનોમિક્સ) બન્યા
19 નવેમ્બર, બુધવારે સેનેટ હાઉસ, લંડન ખાતે આયોજિત યુનિવર્સિટીના ફાઉન્ડેશન ડેની ઉજવણી દરમિયાન લંડન યુનિવર્સિટીના ચાન્સેલર, હર રોયલ હાઇનેસ ધ પ્રિન્સેસ રોયલ દ્વારા આ પદવીઓ એનાયત કરવામાં આવી હતી.
લંડન યુનિવર્સિટીના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના ચેર કવિતા રેડ્ડીએ જણાવ્યું હતું કે “ઉદ્યોગ અને પરોપકારી કાર્યોમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ બિરલાને માનદ ડિગ્રીથી સન્માનિત કરતા અમને આનંદ થાય છે. તેમની સામાજિક પહેલથી લાખો લોકોના જીવનમાં સુધારો થયો છે અને ભારતમાં તથા અહીં યુકેમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની પહોંચ વધારવાની તેમની પ્રતિબદ્ધતા, અન્યોને મદદ કરવાનો જુસ્સો, શિક્ષણના મૂલ્યને ઓળખવું અને વિભાજન કરવાને બદલે એક થવાની ઇચ્છા જેવા લંડન યુનિવર્સિટીના મુખ્ય મૂલ્યોને રજૂ કરે છે.”
કુમાર મંગલમ બિરલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “લંડન યુનિવર્સિટી તરફથી આ સન્માન પ્રાપ્ત કરીને હું ખૂબ જ નમ્ર છું. હર રોયલ હાઇનેસ, પ્રિન્સેસ એન, ધ પ્રિન્સેસ રોયલ દ્વારા આપવામાં આવેલ આ ભવ્ય સન્માન સ્વીકારવું એ એક ગૌરવપૂર્ણ બાબત છે. લંડન બિઝનેસ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે, મેં યુનિવર્સિટીની મહત્વાકાંક્ષાને સિદ્ધિમાં પરિવર્તિત કરવાની નોંધપાત્ર ક્ષમતાને પ્રત્યક્ષ રીતે જોઈ છે. મારો પરિવાર લાંબા સમયથી માને છે કે શિક્ષણ એ પ્રગતિનું સૌથી ટકાઉ એન્જિન છે, જે તકોને વિસ્તારવા અને સમુદાયોને ફરીથી આકાર આપવા સક્ષમ છે.”


