કુવૈત એરપોર્ટ પર ઈરાનનો ઘાતક ડ્રોન હુમલો, 1 ભારતીયનું મોત

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો તણાવ હવે અત્યંત ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. બુધવારે કુવૈત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈરાન દ્વારા કરવામાં આવેલા અચાનક ડ્રોન હુમલાથી સમગ્ર વિશ્વમાં હડકંપ મચી ગયો છે. આ આંતરરાષ્ટ્રીય હુમલામાં કુવૈતમાં કામ કરતા અથવા મુસાફરી કરી રહેલા એક ભારતીય નાગરિકનું દર્દનાક મોત નીપજ્યું છે. આ હુમલાની તીવ્રતા એટલી વધારે હતી કે તેના કારણે એરપોર્ટ પરિસરમાં ભારે જાનમાલનું નુકસાન થયું છે અને કુવૈત સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પરનો તમામ હવાઈ વાહનવ્યવહાર અનિશ્ચિત સમય માટે બંધ કરી દીધો છે.

ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી સંવેદના, કુવૈત સરકાર સાથે સતત સંપર્કમાં

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક સત્તાવાર પોસ્ટ શેર કરીને કુવૈત સ્થિત ભારતીય દૂતાવાસે એરપોર્ટ હુમલામાં ભારતીય નાગરિકના દુઃખદ અવસાન પર ઊંડી સંવેદના અને આઘાત વ્યક્ત કર્યો છે. ભારતીય દૂતાવાસે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, તેઓ મૃતકના શોકગ્રસ્ત પરિવારની સાથે મજબૂતીથી ઉભા છે. આ ઉપરાંત, હુમલામાં ઘાયલ થયેલા અન્ય લોકોને પણ તમામ સંભવિત તબીબી અને કાનૂની સહાય પહોંચાડવા માટે દૂતાવાસના અધિકારીઓ કુવૈતના વહીવટીતંત્ર અને વિદેશ મંત્રાલય સાથે “નજીકનો તાલમેલ” જાળવી રહ્યા છે. જો કે, સુરક્ષા અને અન્ય કારણોસર દૂતાવાસે હજુ સુધી મૃતક ભારતીય નાગરિકની ઓળખ કે તેના વિશે વધુ વિગતો જાહેર કરી નથી.

ટર્મિનલ વન પર ઈરાની ડ્રોન તૂટી પડ્યા, એર ટ્રાફિક સસ્પેન્ડ

કુવૈતની સત્તાવાર સરકારી સમાચાર એજન્સી ‘કુના’ (KUNA) ના અહેવાલ મુજબ, સિવિલ એવિએશન ડિરેક્ટોરેટ જનરલના પ્રવક્તા અબ્દુલ્લા અલ-રાજહીએ જણાવ્યું હતું કે બુધવારે ઈરાન તરફથી આવેલા ડ્રોન અને મિસાઈલ હુમલાની સીધી અસર કુવૈત એરપોર્ટના ‘ટર્મિનલ વન’ (Terminal One) પર થઈ હતી. આ ઘાતક હુમલામાં એરપોર્ટની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. વિસ્ફોટ અને આગના કારણે એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી, જેને પગલે મુસાફરોની સુરક્ષા અર્થે તમામ ફ્લાઈટ્સનું ઓપરેશન તાત્કાલિક રોકી દેવામાં આવ્યું છે અને એરપોર્ટને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.

હોસ્પિટલોમાં ઈમરજન્સી: ઘાયલોનો આંકડો 60 ને પાર

હુમલા બાદ કુવૈતના આરોગ્ય તંત્રમાં પણ કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે. કુવૈતના સ્વાસ્થ્ય મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા ડો. અબ્દુલ્લા અલ-સનદે બુધવારે સાંજે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, કુવૈત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર થયેલી આ ભયાનક ઘટના બાદ એમ્બ્યુલન્સ મારફતે અત્યાર સુધીમાં કુલ 63 જેટલા ઘાયલ લોકોને સારવાર માટે જુદી જુદી સરકારી હોસ્પિટલોમાં લાવવામાં આવ્યા છે. ઘાયલોમાં ઘણા લોકોની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે, જેના કારણે મૃત્યુઆંક હજુ પણ વધી શકે તેવી આશંકા સેવાઈ રહી છે. હાલ હોસ્પિટલોમાં તબીબોની વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે.