ગુજરાતમાં 26 એપ્રિલ, રવિવારના દિવસે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મહત્વપૂર્ણ ચૂંટણી યોજાવાની છે. આ લોકશાહીના મહાપર્વને લઈને રાજ્યમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ નાગરિકોને મતદાન માટે ઉત્સાહભેર ભાગ લેવા અને “સંપૂર્ણ મતદાન”ના લક્ષ્યને સાકાર કરવા માટે વિશેષ અપીલ કરી છે.
ગુજરાતના જાગૃત નાગરિક ભાઈઓ-બહેનો, સૌને મારા નમસ્કાર.
26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે. લોકતંત્રનો આ પવિત્ર ઉત્સવ છે.
તમારો એક મત તમારા શહેર, જિલ્લા, તાલુકા તથા ગામ અને સમગ્ર સમાજના વિકાસને વધુ ગતિ આપશે. રાજ્યના વિકાસ માટે દરેક મત અમૂલ્ય છે.
હું રાજ્યના દરેક… pic.twitter.com/zp5co8wiJk
— Bhupendra Patel (@Bhupendrapbjp) April 25, 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંદેશમાં જણાવ્યું કે, મતદાન માત્ર નાગરિકનો અધિકાર નથી પરંતુ લોકશાહીમાં જવાબદાર નાગરિક તરીકેનું એક મહત્વપૂર્ણ કર્તવ્ય પણ છે. દરેક મત રાજ્યના ગામ, શહેર, તાલુકા અને જિલ્લાની વિકાસયાત્રાને દિશા આપવાની શક્તિ ધરાવે છે. તેમણે ઉમેર્યું કે જો દરેક નાગરિક પોતાના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરે તો સ્થાનિક શાસન વધુ મજબૂત અને પારદર્શક બની શકે છે.
CM ભૂપેન્દ્ર પટેલે તમામ મતદારોને વિનંતી કરી છે કે, તેઓ 26 એપ્રિલના દિવસે અવશ્ય પોતાના મતદાન મથકે પહોંચીને મતદાન કરે. માત્ર પોતે જ નહીં પરંતુ પરિવાર, મિત્રો અને આસપાસના લોકોને પણ મતદાન માટે પ્રેરિત કરવાની અપીલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે લોકશાહીના આ પર્વને સફળ બનાવવા માટે સમાજના દરેક વર્ગે મળીને “100 ટકા મતદાન”નો સંકલ્પ લેવો જોઈએ.




