આગર માલવા: હવે મધ્ય પ્રદેશના કરોડો રૂપિયાનું દાન મેળવનારાં મંદિરોમાં પણ દાનની ગેરરીતિ અને ચંદા ચોરી અંગે પ્રશ્નો ઊભા થયા છે. આ ક્રમમાં આગર માલવાના બગલામુખી શક્તિપીઠ મંદિરનું નામ સામે આવ્યું છે. આરોપ છે કે મંદિરમાં કરોડો રૂપિયાની રકમ અને દાગીનાની ગેરરીતિ થઈ છે. આ મામલે કલેક્ટરે ત્રણ સભ્યોની તપાસ સમિતિ બનાવી સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
બિનસરકારી સંસ્થા સંભાળતી હતી દાનની વ્યવસ્થા
બગલામુખી મંદિર પરિસરમાં એક બિનસરકારી સંસ્થાએ કોઈ સત્તાવાર મંજૂરી વિના પૂજા માટે યજ્ઞ-હવન અને દાન સ્વીકારવાની સમાનાંતર વ્યવસ્થા ઊભી કરી હતી. આ માટે રસીદ કાપવાથી લઈને દાન મેળવવા માટે ખાનગી બેંક ખાતાં સુધીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ મામલે આગર માલવાનાં કલેક્ટર પ્રીતિ યાદવને ફરિયાદ કરવામાં આવી હતી. ત્યાર બાદ કલેક્ટરે મંગળવારે ત્રણ સભ્યોની તપાસ સમિતિ રચી સમગ્ર મામલાની વિગતવાર તપાસના આદેશ આપ્યા છે.

ખાનગી સંસ્થા એકત્ર કરતી હતી સોનું-ચાંદી અને રોકડ રકમ
સમિતિ એવી ફરિયાદોની તપાસ કરશે, જેમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2024થી મંદિરની અંદર એક ખાનગી સમિતિ કાર્યરત છે. આ સમિતિ કોઈ કાનૂની અધિકાર વિના પોતાની રસીદો જારી કરીને દાન એકત્ર કરી રહી હતી. કલેક્ટર પ્રીતિ યાદવે જણાવ્યું હતું કે વર્ષ 2024થી મંદિરમાં સક્રિય આ સંસ્થાએ ડોનેશન સ્લિપ તરીકે રસીદ પુસ્તિકાઓ છપાવી હતી અને મંદિર પરિસરમાં ભક્તો પાસેથી રોકડ રકમ, સોનું અને ચાંદીના દાગીના એકત્ર કરવા માટે તેનો ઉપયોગ કર્યો હતો. રસીદો પર એક ખાનગી બેંક ખાતા નંબર તેમ જ અનેક મોબાઇલ નંબરો પણ નોંધાયેલા હતા.

મંદિરની વર્તમાન વ્યવસ્થા
હાલમાં બગલામુખી મંદિરની વ્યવસ્થા આગર માલવા જિલ્લા પ્રશાસન હેઠળની સત્તાવાર વ્યવસ્થાપન સમિતિ સંભાળે છે. આ સમિતિ મંદિરની પૂજા પ્રક્રિયા અને પરિસરની તમામ વ્યવસ્થાઓનું સંચાલન કરે છે. તેના પ્રમુખ નલખેડા એસડીએમ હોય છે. મંદિર પરિસરમાં કોઈ ખાનગી સંસ્થાને દાન કે દાગીના એકત્ર કરવાની મંજૂરી નથી અને તે માટે કોઈ જોગવાઈ પણ નથી. તેમ છતાં, આ સંસ્થાએ છેલ્લાં બે વર્ષથી ગેરકાયદે રીતે લાખો રૂપિયાની રોકડ રકમ તેમ જ સોના-ચાંદીના દાગીના એકત્ર કરીને ખાનગી બેંક ખાતાઓમાં જમા કરાવ્યા હોવાનું કહેવાય છે. કલેક્ટર પ્રીતિ યાદવે જણાવ્યું કે મંદિરમાં દાનની ચોરી અંગે ફરિયાદ મળ્યા બાદ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.




