કોંગ્રેસમાં વિલીનીકરણનો વિચાર કરી રહ્યા છે મમતા અને પવાર?

નવી દિલ્હીઃ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં થયેલી હાર બાદ TMC મોટી ફૂટની અણી પર છે. પક્ષના લગભગ બે તૃતીયાંશ ધારાસભ્યો અને સાંસદો અલગ ગઠબંધન બનાવવાના પ્રયાસોમાં છે. TMCમાં મચેલી આ ઊથલપાથલ વચ્ચે મમતા બેનર્જી સામે પાર્ટીને એકજૂટ રાખવાનો મોટો પડકાર ઊભો થયો છે. આ દરમિયાન દિલ્હીમાં ઇન્ડિયા બ્લોકની બેઠક બાદ TMCના કોંગ્રેસમાં વિલય અંગેની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.TMC-કોંગ્રેસ વિલયની અટકળોને વધુ બળ ત્યારે મળ્યું જ્યારે ઇન્ડિયા બ્લોકની બેઠક પૂર્ણ થયા પછી પણ અભિષેક બેનર્જી દિલ્હીમાં જ રહ્યા હતા. હવે મહારાષ્ટ્રમાંથી પણ પ્રાદેશિક વિરોધ પક્ષોના કોંગ્રેસમાં વિલય અંગેની ચર્ચાઓ તેજ બની છે. રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્ય અશોક ગહેલોતે પણ જણાવ્યું છે કે કોંગ્રેસમાંથી અલગ થયેલી તમામ પાર્ટીઓએ ફરી કોંગ્રેસમાં જોડાઈ જવું જોઈએ.

ગહેલોતનું નિવેદન

તેમણે કહ્યું છે કે કોંગ્રેસમાંથી અલગ થઈને પ્રાદેશિક પક્ષો બનેલી તમામ પાર્ટીઓએ ફરી કોંગ્રેસમાં સામેલ થવું જોઈએ અને પૂરા મનથી રાહુલ ગાંધીને પોતાનો નેતા સ્વીકારવા જોઈએ.

નાના પટોલે અને સંજય રાઉતના નિવેદનથી રાજકારણ ગરમાયું

મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા નાના પટોલેએ કહ્યું હતું કે શરદ પવાર અને મમતા બેનર્જી કોંગ્રેસ સાથે આવવાની માનસિકતા બનાવી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે દેશ બચાવવા માટે સમાન વિચારધારાવાળા પક્ષોનું એક થવું જરૂરી છે.બીજી તરફ સંજય રાઉતે જણાવ્યું હતું કે શરદ પવાર વિરોધ પક્ષોના કોંગ્રેસમાં વિલયની પ્રક્રિયાનું નેતૃત્વ સંભાળી શકે છે.

TMC અને NCP (SP) કોંગ્રેસમાં વિલય કરશે?

ભાજપ અને મોદીના રાજકીય પ્રભાવને પડકારવા માટે ઇન્ડિયા ગઠબંધનની અંદર હવે એક મોટા ‘મહાવિલય’ની ચર્ચાઓ તેજ થઈ રહી છે. કોંગ્રેસમાંથી અલગ થઈને રાજ્ય સ્તરે પોતાનું રાજકીય અસ્તિત્વ ઊભું કરનારા પક્ષોને ફરી કોંગ્રેસના છત્રછાયા હેઠળ લાવવાના પ્રયાસો શરૂ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ, શિવ સેના (UBT) અને NCP SPના નેતાઓના તાજેતરનાં નિવેદનોને કારણે એવી અટકળો વધી છે કે પરદાની પાછળ કોઈ મોટી રાજકીય વ્યૂહરચના તૈયાર થઈ રહી છે.