નવી દિલ્હીઃ BRICS શિખર સંમેલન 2026ની ઔપચારિક શરૂઆત ‘BRICS બિઝનેસ ફોરમ’ સાથે થઈ ચૂકી છે. આ કાર્યક્રમમાં ભારતના વિદેશમંત્રી ડો. એસ. જયશંકર, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ તથા વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલ સહિત અનેક અગ્રણી હસ્તીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સંબોધતાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ભારતની આર્થિક અસર, વૈશ્વિક વેપાર અને BRICS દેશો વચ્ચે પરસ્પર સહયોગ પર ભાર મૂક્યો હતો. વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે કહ્યું હતું કે અસ્થિરતાના સમયમાં તકો પણ છુપાયેલી હોય છે.
આર્થિક કૂટનીતિનું વધતું મહત્વ
પીયૂષ ગોયલે વિદેશમંત્રી ડો. એસ. જયશંકરની હાજરીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આજે જ્યારે વિશ્વ અનેક પ્રકારના આર્થિક અને રાજકીય પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે ‘આર્થિક કૂટનીતિ’નું મહત્વ સૌથી વધુ વધી જાય છે. તેમણે કહ્યું હતું કે વિદેશ નીતિ અને વેપારનું એકસાથે આવવું ભારતની મજબૂત વૈશ્વિક સ્થિતિ દર્શાવે છે.
વૈશ્વિક વેપારમાં BRICSનો મોટો હિસ્સો
કેન્દ્રીય મંત્રીએ આંકડાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે આજે BRICS સંગઠન વૈશ્વિક વેપારના લગભગ એક ચતુર્થાંશ (25 ટકા) હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કહ્યું હતું કે BRICS દેશો વચ્ચે થતા પરસ્પર વેપારમાં ભારત એક અત્યંત મજબૂત અને મહત્વપૂર્ણ સ્તંભની ભૂમિકા ભજવી રહ્યું છે.
Open markets for each other’s products…#BRICS2026 pic.twitter.com/ltAvUDGH9h
— Piyush Goyal (@PiyushGoyal) September 11, 2026
‘દુનિયાની ફાર્મસી’ તરીકે ભારતની ઓળખ
ભારતની નિકાસ અંગે વાત કરતાં પીયૂષ ગોયલે કહ્યું હતું કે ભારતમાંથી નિકાસ કરવામાં આવતા ઉત્પાદિત માલમાં એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોનો સૌથી મોટો હિસ્સો છે. ભારતને વિશ્વમાં આરોગ્ય અને દવાઓના ક્ષેત્રમાં એક વિશ્વસનીય સપ્લાયર તરીકે ઓળખવામાં આવે છે.
બજારો ખોલવા અને પ્રક્રિયાઓ સરળ બનાવવાની અપીલ
પીયૂષ ગોયલે BRICSના સભ્ય દેશો અને સહયોગી રાષ્ટ્રોને અપીલ કરી કે તેઓ ભારતીય ઉત્પાદનો માટે પોતાના બજારોને વધુ ખોલે. તેમણે કહ્યું હતું કે વેપારને પ્રોત્સાહન આપવા માટે નિયમો અને નિયમનકારી પ્રક્રિયાઓને સરળ બનાવવી જોઈએ, જેથી માલના કસ્ટમ્સ ક્લિયરન્સ અને ડિલિવરી ઝડપથી થઈ શકે. ભારત એક વિશ્વસનીય ભાગીદાર તરીકે BRICSને પોતાનાં ઉત્પાદનો માટે એક મોટું અને મહત્વપૂર્ણ બજાર માને છે.
અસ્થિરતાના સમયમાં તકો પણ છુપાયેલી છે: ડો. એસ. જયશંકર
BRICS બિઝનેસ ફોરમમાં વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે વૈશ્વિક મંચ પર થઈ રહેલા ફેરફારો, પડકારો અને ભવિષ્યની સંભાવનાઓ અંગે ભારતનો દૃષ્ટિકોણ રજૂ કર્યો. વિદેશ મંત્રીએ કહ્યું હતું કે વર્તમાન સમયમાં વિશ્વની રાજકીય અને આર્થિક વ્યવસ્થા મોટા પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે. આજે વૈશ્વિક વાતાવરણમાં અનિશ્ચિતતા, અસ્થિરતા અને જટિલતા મુખ્ય લક્ષણો બની ગયાં છે.
Speaking at the opening ceremony of BRICS Business Forum 2026.
https://t.co/0crl3kUZwb— Dr. S. Jaishankar (@DrSJaishankar) September 11, 2026
આર્થિક પડકારો અને વિક્ષેપ
ડૉ. જયશંકરે મુખ્ય વૈશ્વિક સંકટોની અસરો પર પ્રકાશ પાડતાં કહ્યું કે ચાલી રહેલા સંઘર્ષોની સીધી અસર વિશ્વના અર્થતંત્ર પર પડી રહી છે. મહામારીની અસરો અને હવામાનમાં થઈ રહેલા ફેરફારોને કારણે સપ્લાય ચેન અને વિકાસની ગતિને પણ અસર થઈ છે.
અનુકૂલનશીલતા જ સફળતાની ચાવી
જયશંકરે નિષ્કર્ષ આપતાં કહ્યું કે આજે જોખમ અને તકો બંને વ્યાપક રીતે ફેલાયેલા છે. આવી સ્થિતિમાં જે દેશો અથવા સંગઠનો સમયની સાથે ઝડપથી પોતાને અનુકૂળ બનાવી શકે અને યોગ્ય નિર્ણયો લેવાની ક્ષમતા ધરાવે, તેઓ જ આ સમયગાળામાં આગળ વધી શકશે.




