ચોટીલા પાસે બસમાં લાગી ભીષણ આગ, લોકોમાં અફરાતફરી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા-અમદાવાદ નેશનલ હાઇવે પર આજે બપોરે એક મોટી અને સંભવિત ભયાનક દુર્ઘટના ટળી ગઈ છે. હાઇવે પર દોડતી એક ખાનગી લક્ઝરી બસમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતાં અફરાતફરી મચી ગઈ હતી. જોતજોતામાં આગના ગોટેગોટા હવામાં ઉછળતા જોઈને મુસાફરોમાં જીવ બચાવવા માટે ચીસાચીસ થઈ ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે બસનો મુખ્ય દરવાજો બંધ થઈ ગયો હતો, જેના કારણે મુસાફરોએ બસની બારીના કાચ તોડીને બહાર કૂદકો મારવો પડ્યો હતો. સદનસીબે, ડ્રાઇવરની સમયસૂચકતાને કારણે તમામ મુસાફરો સુખરૂપ બહાર નીકળી શક્યા હતા.

4 દિવસ પહેલાં જ આ જ જગ્યાએ સર્જાયો હતો ગોઝારો અકસ્માત

ધ્રુજાવી દેતી બાબત એ છે કે, બરાબર ચાર દિવસ પહેલા જ આ જ હાઇવે પર આવેલા સાંગાણી ગામ નજીક અમદાવાદથી રાજકોટ જતી એક બસનો અકસ્માત થયો હતો અને તે સળગી ઉઠી હતી. એ ગોઝારી ઘટનામાં ૪ મુસાફરોના કરુણ મોત નિપજ્યા હતા. આ ભયાનક અકસ્માતની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ બરાબર એ જ સ્થળ (સાંગાણી ગામ) નજીક બીજી આવી મોટી આગની ઘટના બનતા હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પટ્ટો તૂટવાનો અવાજ આવ્યો અને એન્જિનમાંથી ધુમાડા નીકળ્યા

ઘટનાની વિગત એવી છે કે, સુદામા ટ્રાવેલ્સની આ લક્ઝરી બસ મુસાફરોને લઈને સોમનાથથી અમદાવાદ તરફ જઈ રહી હતી. બસ જ્યારે ચોટીલાના સાંગાણી ગામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક અંદરથી ધૂમાડો નીકળવા લાગ્યો હતો. બસના ડ્રાઇવર રાજુ ઓડેદરાએ આપવીતી જણાવતા કહ્યું કે, “બસ ચાલુ હતી ત્યારે અચાનક આગળના ભાગે પટ્ટો તૂટવાનો મોટો અવાજ આવ્યો હતો. કંઈક ગરબડ હોવાની શંકા જતાં મેં તરત જ બસ હાઇવેની સાઇડમાં ઊભી રાખી દીધી. નીચે ઉતરીને ચેક કર્યું તો આગળ એન્જિનના ભાગે આગ લાગી ચૂકી હતી.”

બસના કાચ તોડીને મુસાફરોને બહાર કુદાવ્યા

આગ એટલી ઝડપથી ફેલાઈ કે આગળના દરવાજેથી મુસાફરોને બહાર કાઢવા માટેનો સમય બચ્યો નહોતો. આ કપરા સમયે ડ્રાઇવર રાજુ ઓડેદરા અને ક્લીનરે હિંમત બતાવીને તાત્કાલિક બસની બારીના કાચ તોડવાનું શરૂ કર્યું હતું. બસમાં સવાર ગોંડલના મુસાફર કિશને જણાવ્યું કે, અંદર ધુમાડો ભરાઈ જતાં શ્વાસ લેવો મુશ્કેલ હતો અને અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ ડ્રાઇવર-ક્લીનરે સમયસર કાચ તોડી આપતાં અમે બધા નીચે કૂદી ગયા અને અમારો જીવ બચી ગયો.

જોતજોતામાં આખી બસ ખાખ, હાઇવે પર ચક્કાજામ

આગની ઘટનાની જાણ થતાં જ ચોટીલા પોલીસનો કાફલો અને ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં સુદામા ટ્રાવેલ્સની આ લક્ઝરી બસ સંપૂર્ણપણે બળીને લોખંડના માળખામાં ફેરવાઈ ગઈ હતી. હાઈવેની વચ્ચોવચ બસ સળગવાના કારણે થોડા સમય માટે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસે ક્રેનની મદદથી રોડ સાઇડ કરાવીને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. શોર્ટ સર્કિટના કારણે શોર્ટ સર્કિટ થઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.