મહારાષ્ટ્રમાં 1200થી વધુ લોકો સાથે છેતરપિંડીઃ રૂ. 180 કરોડનું કૌભાંડ

મુંબઈ:મહારાષ્ટ્રના થાણે શહેરમાં એક મોટું મૂડીરોકાણ કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં લગભગ 1200થી વધુ રોકાણકારોને 180 કરોડ રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો છે. આ કૌભાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હવે વરિષ્ઠ IPS અધિકારીઓની દેખરેખ હેઠળ વિશેષ તપાસ ટીમ (SIT) રચવાની માગ ઉગ્ર બની છે. પીડિતોના વકીલ રાજેશ કાકડેએ આ મામલે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP)ને સત્તાવાર પત્ર મોકલી આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માગ કરી છે.

 ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો બન્યા શિકાર

આ કેસની શરૂઆત ત્યારે થઈ જ્યારે છેતરપિંડીના ભોગ બનેલા લોકોએ ફરિયાદ નોંધાવી અને 24 ફેબ્રુઆરી 2026એ થાણે નગર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે FIR દાખલ કરવામાં આવી. ઠગોએ રોકાણ પર ભારે નફાનો લાલચ આપીને સમાજના મધ્યમ વર્ગીય અને ગરીબ પરિવારોને નિશાન બનાવ્યા હતા. જીવનભરની બચત ગુમાવ્યા બાદ હવે પીડિતો ન્યાય માટે ભટકી રહ્યા છે.

 સચિન રાણે, પ્રીતિ રાણે અને સાગર કરિવડેકર સામે કેસ

આ મૂડીરોકાણ કૌભાંડમાં મુખ્ય આરોપી સચિન રાણે, તેની પત્ની પ્રીતિ રાણે અને તેમના સાથીદાર સાગર કરિવડેકર સહિત અનેક લોકો સામે કેસ નોંધાયો છે. પોલીસે આરોપીઓ સામે BNS તથા મહારાષ્ટ્રમાં નાણાકીય છેતરપિંડી રોકવા માટે બનાવાયેલા કડક કાયદા MPID (મહારાષ્ટ્ર ડિપોઝિટર્સ ઇન્ટરેસ્ટ પ્રોટેક્શન એક્ટ) હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.

જૂનો ગુનાહિત ઇતિહાસ છુપાવવાનો આરોપ

મુખ્ય આરોપી સચિન રાણેએ ધરપકડથી બચવા માટે કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં, પરંતુ 11 માર્ચે થાણે સેશન કોર્ટે તેની આગોતરી જામીન અરજી સંપૂર્ણપણે ફગાવી દીધી હતી. ત્યાર બાદ બોમ્બે હાઈકોર્ટમાંથી પણ આરોપીઓને કોઈ અંતરિમ રાહત મળી નહોતી. ફરિયાદી પક્ષના વકીલનો આરોપ છે કે આરોપીઓનો જૂનો ગુનાહિત રેકોર્ડ પણ હતો, જેને તેમણે ચાલાકીથી કોર્ટથી છુપાવ્યો હતો.

એક આરોપીની ધરપકડ, પરંતુ રાણે દંપતી હજુ ફરાર

આ મામલે પોલીસે આંશિક સફળતા ત્યારે મેળવી જ્યારે સહ-આરોપી સાગર કરિવડેકરને સાવંતવાડી પોલીસની મદદથી ધરપકડ કરવામાં આવી. જોકે પૂરતા પુરાવા હોવા છતાં મુખ્ય આરોપી સચિન રાણે અને તેની પત્ની પ્રીતિ રાણે હજુ સુધી પોલીસની પકડથી દૂર છે અને ફરાર છે. માત્ર થાણે જ નહીં, પરંતુ મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં પણ આ ગેંગ સામે 34 લાખ રૂપિયાની છેતરપિંડીનો વધુ એક કેસ નોંધાયો છે.