મુંબઈ: કવિ હરીન્દ્ર દવેના જન્મદિન નિમિત્તે ‘ઊડે તેજનો ગુલાલ’ કાર્યક્રમનું આયોજન

મુંબઈમાં આગામી 19 સપ્ટેમ્બરના રોજ હરીન્દ્ર દવેના જન્મદિન નિમિત્તે ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી અને હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે `ઊડે તેજનો ગુલાલ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતી ભાષાના જાણીતા કવિ, નવલકથાકાર અને નિબંધકાર તથા પત્રકાર હરીન્દ્ર દવેનો જન્મ 19 સપ્ટેમ્બર, 1930માં થયો હતો. તેમની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે `ઊડે તેજનો ગુલાલ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કાવ્યસંપદા શ્રેણી અંતર્ગત આપણું આંગણું બ્લૉગના સંકલનમાં કાવ્યસંગીત, કાવ્યપઠન અને વાચિકમ દ્વારા વૈવિધ્યસભર પ્રસ્તુતિ કરવામાં આવશે.

કાર્યક્રમમાં સનત વ્યાસ, રાજુલ દીવાન, જ્હોની શાહ, હિમાંશુ ઠાકર, રક્ષા શાહ, મિતા ગોર મેવાડા, ડૉ. ભૂમા વશી, ડૉ. મંજરી મુઝુમદાર અને સ્નેહલ મુઝુમદાર ભાગ લેશે. સંકલનની જવાબદારી હિતેન ભાઈ અને મુકેશ ભાઈ નિભાવશે. ભવન્સ કેમ્પસ, અંધેરી વેસ્ટ ખાતે 19 સપ્ટેમ્બરે સાંજે 6.30 વાગ્યે આયોજિત આ કાર્યક્રમમાં હરીન્દ્ર દવેના ગીતો, એમની પંક્તિને આધાર બનાવી લખાયેલી નવી ગઝલો તથા `માધવ ક્યાંય નથી મધુવનમાં’ નવલકથાના અંશનું પઠન કરવામાં આવશે.