આશરે 35 લાખ નકલી મતદાતાઓનાં નામ યાદીમાંથી થશે દૂર

પટનાઃ બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલાં મતદારોની યાદીની સમીક્ષા પ્રક્રિયાની ઝુંબેશ ચાલુ છે. અત્યાર સુધીની પ્રક્રિયા હેઠળ 35 લાખથી વધુ મતદારોનાં નામ યાદીમાંથી દૂર કરવાનું નક્કી છે. તેમાં એવા લોકો સામેલ છે, જે કાં તો મૃત્યુ પામ્યા છે, સ્થાયી રૂપે અન્ય જગ્યાએ સ્થળાંતરિત થઈ ગયા છે અથવા જેનું નામ એકથી વધુ જગ્યાએ છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે બિહારમાં મતદારોની યાદીની સમીક્ષા દરમિયાન અત્યાર સુધીમાં 83.66 ટકા ફોર્મ મળ્યાં છે. 

રાજ્યમાં 1.59 ટકા (12,55,620) મતદારો મૃત્યુ પામ્યા છે. જોકે 2.2 ટકા (17,37,336) મતદારો સ્થાયી રૂપે અન્ય જગ્યાએ સ્થળાંતરિત થઈ ચૂક્યા છે. આ સિવાય 0.73 ટકા (5,76,479) મતદારોનાં નામ એકથી વધુ જગ્યાએ નોંધાયેલાં છે. આ આંકડાને આધારે કુલ 35,69,435 નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવશે. આ સંખ્યા છેલ્લી નથી અને આગામી દિવસોમાં આ સંખ્યામાં વધારો થઈ શકે છે, કારણ કે હજું પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે. 

પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યમાં કુલ 7,89,69,844 મતદારોમાંથી અત્યાર સુધીમાં 6,60,67,208 મતદારોનાં ફોર્મ મળ્યા છે. હવે ફક્ત 11.82 ટકા મતદાર બાકી છે, જેમનાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી કરવાની છે. મણતરીનાં ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખને હજુ 11 દિવસ બાકી છે અને ફક્ત 11.82 ટકા મતદારોની ગણતરીનાં ફોર્મ જ જમા કરાવવાનાં બાકી છે. તેમાંથી ઘણઆએ આવનારા દિવસોમાં દસ્તાવેજો સાથે ફોર્મ ભરવા માટેનો સમય માગ્યો છે. ચૂંટણી પંચ દ્વારા હાલમાં જ લોન્ચ કરવામાં આવેલા ECI-નેટ પ્લેટફોર્મ પર સોમવાર સાંજે 6 વાગ્યા સુધી 5.74 કરોડ ફોર્મ અપલોડ થઈ ચૂક્યા છે.