મુંબઈની 20 ટકા હોટેલ બંધ, 50 ટકા ટૂંક સમયમાં બંધ થવાની શક્યતા: AHAR

મુંબઈઃ મુંબઈના જો ગેસ સપ્લાયમાં આવો જ વિક્ષેપ ચાલુ રહેશે તો આવતા બે દિવસમાં મુંબઈના લગભગ 50 ટકા હોટેલ બંધ થવાની શક્યતા છે, એમ હોટેલ એસોસિયેશન AHARએ જણાવ્યું છે.  એસોસિયેશને એ પણ જણાવ્યું કે કેટલી હોટેલ ચાલુ રહેશે તે ઉપલબ્ધ ગેસ સપ્લાય પર નિર્ભર રહેશે. AHARએ સ્પષ્ટ કર્યું હતું કે હોટેલ બંધ કરવાનો કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી. હોટેલ ખુલ્લી રાખવી કે બંધ રાખવાનો નિર્ણય હોટેલ માલિકો પોતે લેશે.

કોમર્શિયલ LPG સિલિન્ડરની અચાનક અછતને કારણે હોસ્પિટાલિટી સેક્ટરમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ત્યાર બાદ ઓઇલ મંત્રાલયે LPG સપ્લાયમાં આવી રહેલી સમસ્યાની તપાસ માટે એક કમિટી બનાવી છે. રેસ્ટોરાં એસોસિયેશને ચેતવણી આપી છે કે જો સપ્લાય સુધરશે નહીં તો થોડા જ દિવસોમાં ખાણીપીણીના વ્યવસાયો બંધ થવાની સ્થિતિ આવી શકે છે.આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે મધ્ય-પૂર્વમાં વધતા સંઘર્ષને કારણે ઇંધણ સપ્લાય ચેઇન પર અસર પડી રહી છે, જેમાં ભારતના LPGની આયાત પર પણ અસર થઈ છે. સરકાર ઘરગથ્થુ રસોઈ ગેસ સપ્લાયને પ્રાથમિકતા આપી રહી છે, જેને કારણે માર્કેટ ભાવ પર આધારિત કોમર્શિયલ LPG વપરાતા હોટેલ અને રેસ્ટોરાંમાં ગેસની અછત ઊભી થઈ છે.

મંત્રાલયે જણાવ્યું છે કે રેસ્ટોરાં, હોટેલ અને અન્ય ઉદ્યોગોની LPG સપ્લાય સંબંધિત માગની સમીક્ષા કરવા માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)ના ત્રણ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સની કમિટી બનાવવામાં આવી છે.દેશમાં દર વર્ષે અંદાજે 31.3 મિલિયન ટન LPGનો વપરાશ થાય છે. તેમાંથી લગભગ 87 ટકા ગેસ ઘરગથ્થુ રસોઈ માટે વપરાય છે, જ્યારે બાકીનો હિસ્સો હોટેલ અને રેસ્ટોરાં જેવાં કોમર્શિયલ ક્ષેત્રોમાં ઉપયોગ થાય છે. દેશની LPG જરૂરિયાતનો લગભગ 62 ટકા હિસ્સો આયાત દ્વારા પૂર્ણ થાય છે. ઈરાન-ઇઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા સપ્લાય રૂટમાં અવરોધ આવ્યો છે. સામાન્ય રીતે ભારત સાઉદી અરેબિયા જેવા દેશોમાંથી પોતાની 85-90 ટકા LPG આયાત આ જ માર્ગ દ્વારા કરે છે.