જમ્મુ-કશ્મીરમાં 300 જેટલા આતંકીઓ સક્રિય: ડીજીપી દિલબાગ સિંહ

જમ્મુ-કશ્મીર: પોલીસ મહાનિદેશક દિલબાગ સિંહે કહ્યું કે, રાજ્યમાં 200થી 300 આતંકવાદીઓ સક્રિય છે, અને ઠંડીની સીઝન શરુ થવા પહેલા જ મોટી સંખ્યામાં આતંકવાદીઓને રાજ્યમાં દાખલ કરાવવા માટે પાકિસ્તાન તરફથી સરહદ પર સતત ગોળીબારની પ્રવૃતિ થઈ રહ્યી છે. તેમણે એમ પણ કહ્યું કે, હાલમાં સરહદની પેલી પારથી મોટી સંખ્યામાં આતંકવાદીઓ રાજ્યમાં ઘુસવામાં સફળ રહ્યા છે, જોકે, ઘૂસણખોરી નિવારણ વ્યવસ્થાએ કેટલાક ઘુસણખોરોનો સફાયો કરીને તેમના પ્લાનને અસફળ બનાવ્યો છે. દિલબાગ સિંહે સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા માટે સરહદ પરના પુંછ જિલ્લાની મુલાકાત દરમ્યાન કહ્યું કે, જમ્મુ-કશ્મીરમાં સક્રિય આતંકીઓની સંખ્યા 200થી 300 જેટલી છે. આ આંકડો સામાન્ય રીતે સ્થિર નથી ઉપર-નીચે થતો રહે છે.

પોલીસ મહાનિદેશકે કહ્યું કે, પાકિસ્તાને વધુમાં વધુ આતંકીઓને રાજ્યમાં ઘૂસાડવા માટે સંઘર્ષવિરામ ઉલ્લંઘન તેજ કરી દીધું છે. જમ્મુ-કશ્મીર ક્ષેત્રમાં મોટી સંખ્યામાં સંઘર્ષ વિરામ ઉલ્લંઘન થઈ રહ્યું છે. કનાચક, આરએસ પુરા, હિરાનગર, પુંછ, રાજૌરી, ઉરી,નાંબલા,કરનાહ, કેરનમાં નિયંત્રણ રેખા પર ધ્યાન ભટકાવવા સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે.

દિલબાગ સિંહે વધુમાં કહ્યું કે, કેટલાક સ્થળો પર આતંકવાદીઓ જોવા મળ્યા છે, અને અમે તેમની વિરુદ્ધ અભિયાન તેજ કરી દીધુ છે. આર્ટિકલ 370 હેઠળ જમ્મુ-કશ્મીરને મળેલા વિશેષ રાજ્યના દરજ્જાને સમાપ્ત કર્યા પછી જમ્મુ, લેહ અને કારગિલમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે, કશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે.