કોરોનાના 2,59,551 વધુ નવા કેસ, 4209નાં મોત 

 નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. મે મહિનામાં બીજી લહેરના પિક દરમ્યાન ચાર લાખથી વધુ નવા કેસો દરરોજ નોંધાતા હતા, જે હવે કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. જોકે કોરોનાથી થતા મોતોની સંખ્યા હજી બહુ ઘટતી નથી.  આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 2,59,551 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 4209 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,60,31,991 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 2,91,331 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 2,27,12,735  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3,57,295 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 30,27,925એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 87.25 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.12 ટકા થયો છે.

છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધી સૌથી વધુ ટેસ્ટિંગ થયું છે. ગઈ કાલે 20,61,683 લોકોનું ટેસ્ટિંગ થયું છે. દેશમાં પોઝિટિવિટી રેટ 12.58 ટકા છે.

દેશમાં 19.18 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 19,18,79,503 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 14,82,754 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.