અભિષેક બેનર્જીએ TMC કાર્યાલયમાં તોડફોડનો લગાવ્યો ભાજપ પર આરોપ

કોલકાતાઃ કોલકાતામાં TMCની એક પાર્ટી ઓફિસમાં વહેલી સવારે તોડફોડની ઘટના બની છે. TMCના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ આ ઘટનાને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ, કેન્દ્રીય ગૃહ મંત્રી અને વડા પ્રધાન કાર્યાલય પાસે આ મામલે કાર્યવાહી કરવાની માગ કરી છે. અભિષેક બેનર્જીએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આરોપ લગાવ્યો હતો કે ભાજપે વહેલી સવારે TMCના પાર્ટી કાર્યાલયને નિશાન બનાવ્યું. તેમણે ઘટના બાદની તસવીરો અને વિડિયો પણ શેર કર્યા છે.

બેનર્જીએ સવાલ કર્યો હતો કે શું પશ્ચિમ બંગાળના રાજ્યપાલ, ગૃહ મંત્રી અને વડા પ્રધાન કાર્યાલય આ મામલે કાર્યવાહી કરશે કે પછી આ ઘટનાને નજરઅંદાજ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં વિપક્ષ સાથે હિંસા, તોડફોડ અને ડરાવવાનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે.

અભિષેક બેનર્જીએ શુભેન્દુ અધિકારી પર પણ સાધ્યું નિશાન

TMC નેતાએ ભાજપના નેતા શુભેન્દુ અધિકારી પર પણ સીધું નિશાન સાધ્યું હતું. તેમણે સવાલ કર્યો હતો કે આખરે તેઓ TMC અને તેમનાથી આટલા ડરે છે કેમ કે આવી કથિત ધમકીનો સહારો લેવો પડી રહ્યો છે. બેનર્જીએ કહ્યું હતું કે જો પશ્ચિમ બંગાળમાં વિપક્ષ સાથે આ જ રીતે હિંસા અને ડરાવવાનું વર્તન ચાલુ રહેશે, તો મુખ્ય મંત્રી પાસે પદ પર યથાવત્ રહેવાનો કોઈ નૈતિક અધિકાર રહેશે નહીં. તેમણે મુખ્ય મંત્રીના રાજીનામાની માગ પણ કરી હતી.

‘આ લોકશાહી નથી, રાજકીય ગુંડાગીરી છે’

અભિષેક બેનર્જીએ આ ઘટનાને રાજકીય રીતે ડરાવવા-ધમકાવવાનો પ્રયાસ ગણાવ્યો. તેમણે કહ્યું હતું કે “આ લોકશાહી નથી, રાજકીય ગુંડાગીરી છે. તેમણે કહ્યું કે આવી દરેક ઘટનાને યાદ રાખવામાં આવશે અને કોઈ પણ હુમલા અથવા ડરાવવાના પ્રયાસને ભૂલવામાં નહીં આવે.

કલકત્તા હાઈકોર્ટને પણ હસ્તક્ષેપની અપીલ

TMC નેતાએ ન્યાયતંત્ર, ખાસ કરીને કોલકાતા હાઈકોર્ટને આ મામલે ધ્યાને લેવાની અપીલ કરી. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં કાયદાનું શાસન જાળવવા માટે આવી ઘટનાઓ પર ગંભીરતાથી ધ્યાન આપવું જરૂરી છે.