કલાકારો, લેખકોએ નાગરિકતા બિલ પાછુ ખેંચવાની માંગ કરી

નવી દિલ્હીઃ આશરે 600 કલાકારો, લેખકો, વિદ્વાનો, પૂર્વ જજો, સહિતના લોકોએ નાગરિકતા સંશોધન બિલને ભેદભાવપૂર્ણ અને વિભાજનકારી ગણાવતા સરકાર પાસેથી આને પાછુ લેવાની માંગ કરી છે. સરકારને લખેલા એક પત્રમાં આ લોકોએ બિલને સંવિધાનના ધર્મનિરપેક્ષ મૂલ્યોની વિરુદ્ધનું ગણાવ્યું છે. આ પત્ર પર હસ્તાક્ષર કરનારા લોકોમાં ઈતિહાસકાર રોમિલા થાપર, લેખક અમિતાભ ઘોષ, અભિનેત્રી નંદિતા દાસ, ફિલ્મ મેકર અપર્ણા સેન, આનંદ પટવર્ધન, સામાજિક કાર્યકર્તા યોગેન્દ્ર યાદવ, તીસ્તા શીતલવાડ, હર્ષ માંદર, અરુણા રાય, દિલ્હી હાઈકોર્ટના પૂર્વ મુખ્ય જજ એ.પી.શાહ અને દેશના પહેલા સીઆઈસી વજાહત હબીબુલ્લાહનો સમાવેશ થાય છે.

પત્રમાં આ લોકોએ લખ્યું છે કે અમે એકેડમિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિના લોકો આ બિલને વિભાજનકારી, ભેદભાવપૂર્ણ અને અસંવૈધાનિક માનીએ છીએ. રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર સાથે આ કાયદો દેશભરમાં લોકોના ઉત્પીડનનું કારણ બનશે. આ ભારતીય ગણતંત્રને ક્ષતિ પહોંચાડશે. એટલા માટે અમારી માંગ છે કે સરકાર આ બિલને પાછુ ખેંચી લે.

આ બિલ મામલે એક વર્ષ જ્યાં ખુશ છે તો વિપક્ષ દ્વારા સતત આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બિલ રાજ્યસભામાં રજૂ થાય તે પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે વિપક્ષ પાકિસ્તાનની ભાષા બોલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ બિલનું સમર્થન પાકિસ્તાની સિંગર અદનાન સામીએ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે શિવસેનાએ પહેલા આ બિલ પર સહમતી વ્યક્ત કરી હતી, પરંતુ બાદમાં પોતાના નિવેદનથી શિવસેનાએ યૂ ટર્ન લીધો હતો. રાહુલ ગાંધી પણ બિલ પર પોતાનો વિરોધ વ્યક્ત કરી ચૂક્યા છે.