CDS જનરલ રાવતના આજે અંતિમસંસ્કાર; દુર્ઘટનાનું કારણ-શું?

નવી દિલ્હીઃ ગયા બુધવારે તામિલનાડુમાં મિલિટરી હેલિકોપ્ટરને નડેલી દુર્ઘટનામાં દેશના પ્રથમ ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (સેનાની ત્રણેય પાંખના વડાઓના પ્રમુખ જનરલ) જનરલ બિપીન રાવત, એમના પત્ની મધુલિકા રાવત અને બીજા 11 જવાનોનાં નિપજેલા કરુણ મરણની ઘટનાની પ્રત્યેક એન્ગલથી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. શું આ 13 જણનું મોત હેલિકોપ્ટરના પાઈલટની ભૂલને કારણે થયું? કે કોઈ ટેકનિકલ ખામી ઊભી થવાને કારણે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું? અથવા કોઈ કાવતરું ઘડીને હેલિકોપ્ટરને તોડી તો નહોતું પડાયુંને? આ બધા પાસાંઓની તપાસ કરાશે. તપાસનીશ દળની આગેવાની એર માર્શલ માનવેન્દ્રસિંહને સોંપવામાં આવી છે જેઓ પોતે એક હેલિકોપ્ટર પાઈલટ છે અને ભારતીય હવાઈદળમાં થયેલી અનેક દુર્ઘટનાઓમાં તપાસ કરી ચૂક્યા છે.

આજે બપોરે દિલ્હી સ્મશાનભૂમિમાં અંતિમસંસ્કાર

દરમિયાન, સીડીએસ જનરલ રાવત, એમના પત્ની તથા સંરક્ષણ દળોના અન્ય 11 જવાનોનાં અંતિમ સંસ્કાર આજે દિલ્હીમાં કરવામાં આવશે. સવારે 11 વાગ્યાથી જનરલ રાવત અને એમના પત્નીના મૃતદેહોને દિલ્હીસ્થિત એમના નિવાસસ્થાને રાખવામાં આવશે જ્યાં એમના પરિવારજનો, જાહેર જનતા અંતિમ દર્શન કરશે. 11 વાગ્યાથી 12.30 વાગ્યા સુધી રાવત દંપતીના મૃતદેહોને દંપતીના કામરાજ માર્ગસ્થિત નિવાસસ્થાને લઈ જવામાં આવશે. લશ્કરી જવાનો બપોરે 12.30થી 1.30 વાગ્યા સુધી અંતિમ દર્શન કરી શકશે. અંતિમ યાત્રા બપોરે 2 વાગ્યે શરૂ કરાશે અને સાંજે 4 વાગ્યે બ્રાર સ્ક્વેર સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.