સોનિયા-રાહુલની નાગરિકતા જશે એવો સ્વામીનો દાવો

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના રાજ્યસભાના સંસદસભ્ય સુબ્રમણિયમ સ્વામીએ દાવો કર્યો છે કે એઆઇસીસીના અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા ટૂંક સમયમાં જતી રહેશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા હૈદરાબાદ યુનિવર્સિટીમાં આયોજિત ‘CAA- એક સમકાલીન રાજનીતિ સે પરે ઐતિહાસિક અનિવાર્યતા’  પર લેક્ચર આપતાં તેમણે કહ્યું હતું કે સોનિયા અને રાહુલ ગાંધીની ફાઇલ ગૃહપ્રધાન અમિત શાહના ટેબલ પર છે અને ટૂંક સમયમાં કોંગ્રેસના આ દિગ્ગજો તેમની નાગરિકતા ગુમાવી દેશે. ભારતીય સંવિધાનનો હવાલો આપીને તેમણે કહ્યું હતું કે જે લોકો ભારતમાં રહેવા છતાં બીજા દેશોની નાગરિકતા ધરાવે છે, તેમની નાગરિકતા ઓટોમેટિક પૂરી થઈ જશે.  

તેમણે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીએ ઇંગ્લેન્ડમાં વેપાર કરવા માટે બ્રિટિશ નાગરિકતાનો વિકલ્પ પસંદ કર્યો હતો. જોકે રાહુલ ગાંધી નાગરિકતા માટે નવેસરથી અરજી કરે એવી શક્યતા છે, કેમ કે તેમના પિતા રાજીવ ગાંધી ક ભારતીય હતા, પણ તેઓ તેમની માતા સોનિયા ગાંધીની શાખનો ઉપયોગ અરજી કરવામાં નહીં કરી શકે. તેમણે દાવો કર્યો હતો કે તેઓ ભારતીય નાગરિક નથી.

સિટિઝન એમેડમેન્ટ એક્ટ (CAA) પર તેમણે લેક્ચરમાં કહ્યું છે કે  CAAને હજી સુધી યોગ્ય રીતે લોકો સમજી શક્યા નથી અને એનો વિરોધ કરવાવાળાઓએ આના અધિનિયમને વાંચ્યા નથી. ભારતીય મુસલમાન આ અધિનિયમોથી પ્રભાવિત નથી અને એ તર્ક આપવો હાસ્યાસ્પદ છે કે પાકિસ્તાન અને બંગલાદેશથી આવનારા મુસલમાનોને નાગરિકતા આપવા માટે માની લેવામાં આવે. પાકિસ્તાન રોહિંગ્યા મુસલમાનોને પોતાના દેશમાં પ્રવેશ કરવાની અનુમતિ નથી આપતા અને અહીંના કેટલાક લોકો ઇચ્છે છે કે પાકિસ્તાનીઓ અહીં આવે.