બેંગલુરુઃ તામિલનાડુ અને આંધ્ર પ્રદેશ બાદ હવે કર્ણાટકમાં પણ રાજ્યપાલ અને રાજ્ય સરકાર વચ્ચે ટકરાવ ઊભો થયો છે. આજે વર્ષનું પ્રથમ વિધાનસભા સત્ર શરૂ થવાનું છે. સામાન્ય રીતે વર્ષનું પહેલું સત્ર બજેટ સત્ર હોય છે, પરંતુ આ વખતે કર્ણાટકની કોંગ્રેસ સરકારે કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા કાયદામાં કરાયેલા ફેરફાર પર ચર્ચા કરવા માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. હવે આ સત્ર દરમિયાન થનારા ભાષણને લઈને રાજ્યપાલ અને સરકાર વચ્ચે વિવાદ ઊભો થયો છે.
ભાષણની નકલ પર વિવાદ
વર્ષનું પ્રથમ સત્ર હોવાથી પરંપરા મુજબ રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને સત્રના પ્રથમ દિવસે વિધાનમંડળના સંયુક્ત અભિભાષણ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ માટે સરકાર તરફથી રાજ્યપાલને મોકલવામાં આવેલી ભાષણની નકલમાં મનરેગા બિલને બદલીને લાવવામાં આવેલા નવા G રામ G બિલની ખામીઓ દર્શાવવામાં આવી છે. એ સાથે જ ભદ્રા પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર તરફથી નાણાકીય સહાયમાં દાખવવામાં આવતી ઉદાસીનતા અને GST મુદ્દે બિન-ભાજપ શાસિત રાજ્યો સાથે થતી ભેદભાવપૂર્ણ વર્તણૂકનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રાજ્યપાલે શી સલાહ આપી?
ભાષણની નકલ વાંચ્યા બાદ રાજ્યપાલે મુખ્ય સચિવને જવાબ આપીને ભાષણમાંથી એવા 11 પેરાગ્રાફ દૂર કરવાની સલાહ આપી હતી, જે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના ટકરાવનું કારણ બની શકે છે. જોકે રાજ્ય સરકારે રાજ્યપાલને સમજાવ્યું કે મુખ્ય મંત્રીના નેતૃત્વ હેઠળની હાઈ લેવલ કમિટીએ નિર્ણય લીધો છે કે ભાષણમાં કેટલાક તકનિકી અને નાના ફેરફાર શક્ય છે, પરંતુ પેરાગ્રાફ દૂર કરી શકાય નહીં. એ પછી રાજ્યપાલે બુધવારે સંયુક્ત અભિભાષણમાં હાજર રહેવાની પોતાની અસહમતી વ્યક્ત કરી દીધી હતી.
મામલો સુપ્રીમ કોર્ટ સુધી જવાની શક્યતા
કર્ણાટકના ઇતિહાસમાં આ સૌપ્રથમ વાર બન્યું છે. આવી સ્થિતિમાં સરકાર પાસે કોર્ટનો રસ્તો અપનાવવાનો વિકલ્પ છે. CMOનાં સૂત્રો મુજબ સરકારે એડવોકેટ જનરલ શશિ કિરણ શેટ્ટીને દિલ્હી મોકલી દીધા છે. જો રાજ્યપાલ સભાને સંબોધવા નથી આવતા તો સરકાર સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવે એવી શક્યતા છે.



