G-20 સંમેલનમાં PM મોદીએ સમાવેશી વિકાસ, જળવાયુ અને આતંકવાદ પર કર્યું આહવાન

જોહાનિસબર્ગઃ આફ્રિકી ખંડમાં પર પ્રથમ વખત આયોજિત G-20 શિખર સંમેલનના બીજા સત્રમાં શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યંત પ્રભાવશાળી સંબોધન આપ્યું હતું. સોલિડેરિટી, ઈક્વાલિટી, સસ્ટેનેબિલિટી થીમ હેઠળ PM મોદીએ ભારતની દ્રષ્ટિ ‘વસુધૈવ કુટુંબકમ્’ને વૈશ્વિક મંચ પર રજૂ કરી, જેને ‘વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર’ તરીકે ઓળખવામાં આવે છે. તેમનું ભાષણ વિકાસ, હવામાન ન્યાય અને ગ્લોબલ સાઉથની અવાજ પર કેન્દ્રિત રહ્યું, જેની વ્યાપક પ્રશંસા થઈ હતી.

PM મોદીએ સંબોધનની શરૂઆત દક્ષિણ આફ્રિકાના ઐતિહાસિક મહત્વથી કરી. તેમણે મહાત્મા ગાંધીના સત્યાગ્રહ આંદોલનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે આ ભૂમિ જ્યાં ગાંધીજીએ અહિંસા અને સમાનતાનો સંદેશ આપ્યો, આજે વૈશ્વિક એકતાનું પ્રતીક બની છે. G-20નું આફ્રિકામાં આયોજન ગ્લોબલ સાઉથ માટે ઐતિહાસિક પળ છે. તેમણે 2023માં ભારતની G-20 અધ્યક્ષતા દરમ્યાન આફ્રિકન યુનિયનને સ્થાયી સભ્યપદ અપાવવાનું શ્રેય લીધું અને કહ્યું હતું કે આ નિર્ણય વિકાસશીલ દેશોની સંયુક્ત વારસાને મજબૂત કરે છે.

ત્રણ મુખ્ય મુદ્દાઓ પર PM મોદીનું ધ્યાન કેન્દ્રિત

વડા પ્રધાન મોદીએ તેમના સંબોધનમાં ત્રણ મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જેમાં

પ્રથમ મુદ્દો—સમાવેશી આર્થિક વિકાસ: તેમણે કહ્યું હતું કે વિકાસનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચવો જોઈએ. ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે UPI અને આયુષ્માન ભારત મોડેલ દુનિયા માટે પ્રેરણારૂપ છે, પરંતુ વિકાસશીલ દેશોને સસ્તી મૂડી અને ટેકનોલોજી ટ્રાન્સફરની જરૂર છે.

બીજો મુદ્દો—જળવાયુનું લચીલાપણું: PM મોદીએ કહ્યું હતું કે જળવાયુ પરિવર્તન કોઈ વિકસિત-વિકાસશીલ દેશોનો પ્રશ્ન નથી, પરંતુ માનવતાનું સંકટ છે. તેમણે જણાવ્યું હતું કે ભારતે 500 ગિગાવોટ નવીનીકરણીય ઊર્જાનું લક્ષ્ય નક્કી કર્યું છે, પરંતુ ગ્લોબલ સાઉથને જળવાયુ ન્યાય મળવો જોઈએ. અમે લોસ એન્ડ ડેમેજ ફંડને મજબૂત કરીશું.

ત્રીજો મુદ્દો—કૃત્રિમ બુદ્ધિ (AI) અને બહુપક્ષી સુધારા: તેમણે કહ્યું હતું કે AIને માનવીય મૂલ્યો સાથે જોડવી પડશે, જેથી અસમાનતા ન વધે. સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય સંસ્થાઓમાં સુધારા જરૂરી છે, જેથી વૈશ્વિક શાસન સર્વસમાવેશી બને.

આતંકવાદ સામે એકતા માટેનું આહ્વાન

PM મોદીએ જણાવ્યું હતું કેઆતંકવાદ, મહામારી અને આર્થિક અસ્થિરતા સામેની લડાઈમાં એકતા જ સૌથી મોટું હથિયાર છે. ભારતનો ‘પૂર્ણ માનવતાવાદ’ સર્વના કલ્યાણ પર આધારિત છે. તેમનું સંબોધન લગભગ 15 મિનિટનું હતું, જેમાં તેમણે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરીલ રામાફોસા અને અન્ય નેતાઓનો આભાર માન્યો હતો.

આ સંમેલન 23 નવેમ્બર સુધી ચાલશે, જ્યાં ઘોષણાપત્ર પર અંતિમ મુહર મળશે. અમેરિકાના બહિષ્કાર છતાં, મોદીની હાજરીએ ગ્લોબલ સાઉથની સ્થિતિને મજબૂતી આપી છે.